આવતીકાલે અષાઢી બીજ: ‘જય જગન્નાથજી’ જયઘોષ સાથે રાજકોટમાં રંગેચંગે નીકળશે ભવ્ય રથયાત્રા
આવતીકાલે અષાઢીબીજનું પર્વ.ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા, ભાઈ બલરામ સાથે નગરચર્યા પર નીકળશે.અમદાવાદની સાથે રાજકોટમાં પણ ભવ્ય અને પરંપરાગત રથયાત્રા નીકળે છે.”જય જગન્નાથ” નાં જયઘોષ સાથે કાલે સવારે ભવ્ય રથયાત્રા નીકળી છે. નાના મવા પર આવેલાં કૈલાસધામ આશ્રમ ખાતેથી સવારે રથયાત્રા શરૂ થઈ છે.જ્યારે ઇસ્કોન મંદિર દ્વારા સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે.
અષાઢીબીજનું પર્વ એટલે ધાર્મિક સાથે વણજોયું મુહૂર્ત ગણાય છે. રથયાત્રા સાથે નવી ખરીદી કરેલી જમીન પર ભૂમિપૂજન, વાસ્તુ સહિતનાં પ્રસંગો સાથે વાહનોની ખરીદી માટેનાં બુકીંગ થયા છે.જયારે ખેડૂતો માટે પણ વાવણીનો અવસર એટલે આ પર્વ કૃષિજગત માટે મહત્વ ધરાવે છે.
હરે કૃષ્ણ મહામંત્રનાં મધુર કીર્તન સાથે સાંજે કોટેચા ચોકથી રથયાત્રા: 5000 કિલો બુંદી પ્રસાદ વિતરણ
રાજકોટમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003 થી દર વર્ષે ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રા ને નગરચર્યા એ નીકળશે. શહેર ભર માં રથયાત્રા કાઢવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ,રથયાત્રા સાંજે 5 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતે થી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે કે ચોક, એજી ચોક થી કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક, કટારીયા સર્કલ થઇ ઇસ્કોન મંદિર એ આવશે. રાત્રે 8 વાગેથી સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.
રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર દર્શન કરતાં દર્શનાર્થીઓને ભગવાનનો પ્રસાદ મળી રહે તે હેતુથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આશરે 5000 કિલો બુંદીના એક લાખથી વધુ પેકેટ બનાવવામાં આવશે જે રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર વિતરણ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન શહેરના માર્ગો પર હરે કૃષ્ણ મહામંત્ર નું મધુર કીર્તન ચાલુ રહેશે તદ ઉપરાંત ભક્તજનો દ્વારા કીર્તન ઉપર પારંપરિક નૃત્ય પણ કરવામાં આવશે.આ વર્ષે રથયાત્રા ની ઉજવણીમાં ભાગ લેવા માટે વિશેષ અતિથિ રૂપે સિંગાપુર ઇસ્કોન મંદિરના પ્રમુખ તેમજ વિશ્વવિખ્યાત મોટીવેશનલ સ્પીકર શ્રીમાન દેવકીનંદન પ્રભુજી રાજકોટ પધારવાના છે. દેવકીનંદન પ્રભુજી પોતાના શ્રીમદ ભગવદગીતા તેમજ શ્રીમદ્ ભાગવતમ ઉપરના વ્યવહારુ માર્ગદર્શન માટે તેમજ સુમધુર કીર્તન માટે વિશ્વવિખ્યાત છે. આ વર્ષે શહેરના રાજમાર્ગો દેવકીનંદન પ્રભુજીના સુંદર કીર્તનથી પણ ગુંજી ઉઠશે