અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
સમગ્ર વિશ્વમાં અરેરાટી જન્માવનારી અમદાવાદની વિમાની દુર્ઘટના જે સ્થળે થઇ હતી ત્યાં ભવિષ્યમાં સ્મારક બનાવવામાં આવે તેવી શક્યતા છે. આ સ્મારક બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલની જગ્યાએ બનાવાશે. હાલમાં જ્યાં હોસ્ટેલ છે તેને સંપૂર્ણપણે પાડી નાખવામાં આવશે તેવું પણ સુત્રોએ જણાવ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દુર્ઘટનાનો શિકાર બનેલી અતુલ્યમ હોસ્ટેલને સંપૂર્ણ રીતે જમીનદોસ્ત કરી દેવામાં આવશે. ત્યારબાદ આ જગ્યા પર એક સ્મારકનું નિર્માણ કરવામાં આવશે. જેથી ત્યાં જઈને લોકો વિમાન દુર્ઘટનામાં જેમણે જીવ ગુમાવ્યો છે તેઓને શ્રદ્ધાંજલિ આપી શકશે.જોકે વિમાન ક્રેશ થયા બાદ અતુલ્યમ હોસ્ટેલને ભારે નુકસાન પહોંચ્યું છે. તે આંતરિક રીતે પણ નબળી પડી ગઈ છે. તેથી તેને તોડી પાડીને આ જ કેમ્પસની અન્ય કોઈ જગ્યાએ તેનું નિર્માણ કરવાનું સરકાર વિચારી રહી છે. આ નિર્ણય લઈને સરકારે વિદ્યાર્થીઓની લાગણીઓનો પણ વિચાર કર્યો છે. કારણ કે દુર્ઘટનાના આઘાતમાં વિદ્યાર્થીઓ અહીં રહી શકશે નહીં.
હાલ વિમાન દુર્ઘટના અંગેની તપાસ કરતી ટીમ ઘટનાસ્થળેથી જરૂરી સામગ્રી એકઠી કરી રહી છે. તપાસની તમામ કામગીરી પૂર્ણ કર્યા બાદ હોસ્ટેલને તોડીને સ્મારક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.આ સ્મારક કેવું હશે તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી. સુત્રોના અનુમાન મુજબ, અહીં એક બગીચો બનાવવામાં આવશે. જ્યાં મુલાકાતીઓ પ્રાર્થના કરીને મૃતકોને શ્રદ્ઘાંજલિ આપી શકે છે. જોકે આ સ્મારક ભુજના સ્મૃતિવન જેવું પણ હોઈ શકે છે. જ્યાં સ્મારક પર મૃતકોના નામને યાદગીરીરૂપે લખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
જુનિયર ડોકટરોની કિમતી વસ્તુઓ નાશ પામી, સરકાર એર ઇન્ડિયા પાસે 2.70 કરોડનું વળતર માગશે
એર ઇન્ડિયાનું વિમાન બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલની મેસ ઉપર પડ્યું હતું અને તેમાં કેટલાક જુનિયર ડોકટરો માર્યા ગયા હતા અને અનેકને ઈજા પણ પહોંચી હતી. આ વિમાન હોસ્ટેલ બિલ્ડીંગ ઉપર પડ્યુ અને આગ લાગી હતી તેમાં જુનિયર ડોકટરોનો અનેક કિમતી સામાન નષ્ટ પામ્યો હતો. આ સામાન પેટે રાજ્યસરકાર એર ઇન્ડિયા પાસે 2.70 કરોડનું વળતર મેળવવા માટે દાવો કરશે.
સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, જુનિયર ડોકટરોનો જે સામાન નુકસાન પામ્યો છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો અને આ નુકસાની એર ઇન્ડિયા પાસેથી વસુલવામાં આવશે.