ગાંધીનગરની ટીમો દ્વારા રાજકોટ જિલ્લાના 34 બ્રિજની તપાસ : રાજકોટ, ગોંડલ અને જેતપુર સબ ડિવિઝનના તમામ પુલ સલામત હોવાનો રિપોર્ટ
મોરબી ઝૂલતાપુલ દુર્ઘટના બાદ હાઇકોર્ટ દ્વારા રાજ્યના તમામ નાલા -પુલિયાની નિયમિત તપાસ કરવા આદેશ કરવામાં આવતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમયાંત્તરે નાના-મોટા પુલની તપાસ કરવામાં આવી રહી છે જે અન્વયે તાજેતરમાં ગાંધીનગર ડિઝાઇન સર્કલની ટીમો દ્વારા રાજકોટ જિલ્લાના ત્રણ સબડિવિઝન હેઠળ આવતા 34 પુલની તપાસ કરવામાં આવી હતી. ગાંધીનગરની ટીમોની તપાસ બાદ જિલ્લાના તમામ 34 પુલ સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં કચરો વ્યવસ્થિત ઉપડે છે? હવે ડેપ્યુટી કલેક્ટર રાખશે ‘બાજ નજર’,સફાઈનું ધોરણ ઉંચું લાવવા કરશે મોનિટરિંગ
રાજકોટ ગ્રામ્ય માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વે રાજકોટ ગ્રામ્ય ડિવિઝન હેઠળ આવતા પુલની તપાસ માટે ગાંધીનગરની ડિઝાઇન સર્કલ વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ સબ ડિવિઝન હેઠળ આવતા 4, ગોંડલ સબ ડિવિઝન હેઠળ આવતા 19 તેમજ જેતપુર સબ ડિવિઝન હેઠળ આવતા 11 પુલ મળી કુલ 34 પુલની તપાસ કરવામાં આવતા હયાત તમામ બ્રિજ મજબૂત સ્થિતિમાં હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો : IND vs ENG : ઋષભ પંતે શાનદાર સદી ફટકારીને બનાવ્યો આ ‘મહાન રેકોર્ડ’, ધોની અને સાહાને પાછળ છોડ્યા
ઉલ્લેખનીય છે કે, મોરબી ઝૂલતાપુલ દુર્ઘટના બાદ હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારનો ઉધડો લઈ રાજ્યના તમામ જિલ્લામાં નિયમિત રીતે તમામ નાના-મોટા બ્રિજની તપાસ સમયાંતરે કરવા સૂચના આપી હતી.જેને પગલે હાલમાં ચોમાસાની ઋતુના પ્રારંભે જ રાજકોટ જિલ્લામાં ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગે તપાસ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની જેમ જ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા પણ તમામ પુલોની ચકાસણી કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય.