સ્વ.વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ યાત્રામાં મહિલાઓએ ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર કર્યા : ‘વિજયભાઈ અમર રહો’ના નારા લાગ્યા. રાજકોટ હિબકે ચડ્યું
અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના `મહામૂલા માનવી’ વિજયભાઈ રૂપાણી સહિત 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દૂર્ઘટનાના પાંચમા દિવસે વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા હતા ત્યારે આજે વિજયરૂપાણીના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપવામાં આવ્યો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી વિજય રૂપાણીની અંતિમયાત્રા શરૂ કરવામાં આવી હતી જેમાં રાજકોટના લોકલાડીલા,રાજકોટના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ આપવા માટે માનવદરિયો ઉમટ્યો હતો.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી અંતિમ યાત્રામાં ગ્રીનલેન્ડ ચોકડીએ માનવ મહેરામણ ઉભરાયું હતું. રાજકીય નેતાથી લઈ સામાજિક આગેવાનો, સોસાયટીના લોકો, શો રૂમના સંચાલકો, સ્કૂલના બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકો વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હતા અને પુષ્પ વર્ષા પણ કરી હતી.

એરપોર્ટથી નિકળ્યા બાદ ગ્રીનલેન્ડ ચોકડીએ લોકો ભેગા થયા હતા. અંતિમ યાત્રાની રાહ જોતા લોકોને સેવકોએ પાણી પણ પીવડાવ્યું હતું.
ગ્રીનલેન્ડ ચોકડી બ્રિજ પર પણ લોકો વાહન રોકીને ઊભા રહ્યા

રાજકોટ જ નહીં બલ્કે ગુજરાતના લોકલાડિલા, મહામૂલા સહિતના અનેક શબ્દોથી જેમને નવાજવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવશે તેવા વિજયભાઈ રૂપાણીને આજે સમગ્ર રાજકોટ ભીની આંખે વિદાય આપવા પહોંચ્યું હતું. વિજયભાઈના અંતિમ દર્શન માટે ગ્રીનલેન્ડ ચોકડી બ્રિજ પર પણ લોકો વાહન રોકીને ઊભા રહ્યા હતા. એરપોર્ટથી એમ્બ્યુલન્સ સાથે અધ્યક્ષ, સાંસદ સહિતનો કાફલો પણ ગ્રીનલેન્ડ ચોકડીએ આવ્યો હતો.
આ પણ વાંચો : સમગ્ર રાજકોટનો શોકમાં ગરકાવ : વિજયભાઈના અંતિમ દર્શન કરવા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

વિજયભાઈના ઘરે મહિલાઓએ શ્રીકૃષ્ણ શરણમ મમઃ મંત્રજાપ શરૂ કર્યો
તસવીર : રવિ ગોંડલિયા

અંતિમ યાત્રાનો રથ નિકળતા રાજકોટવાસીઓ હીબકે ચડ્યા હતા ત્યારે મહિલાઓ દ્વારા ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર કરાયા હતા અને મંત્રોચ્ચારથી રથને આગળ વધાર્યો હતો. અંતિમયાત્રામાં વિજયભાઈ અમર રહોના નારા લાગ્યા હતા. તેમજ વિજયભાઈના ઘરે મહિલાઓએ રામધૂન અને શ્રીકૃષ્ણ શરણમ મમઃ મંત્રજાપ શરૂ કર્યો, હજારો લોકો ઉમટ્યા