અયોધ્યામાં રામ દરબારની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા : સુરતના વેપારીએ સોના અને હીરા જડિત આભૂષણોનું કર્યું દાન, જુઓ તસવીરો
અયોધ્યામાં ગુરુવારે ભગવાન રામ પોતે શ્રી રામ જન્મભૂમિ ખાતે નવા બનેલા ભવ્ય રામ મંદિરના પહેલા માળે સ્થિત રામ દરબારમાં બિરાજમાન થયા હતા. અભિજીત મુહૂર્ત અને સ્થિર લગ્નમાં, રામ દરબાર સહિત મંદિર સંકુલના સાત અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસગે સુરતના વેપારીએ કર્યું સોના અને હીરા જડિત આભૂષણોનું દાન કર્યું હતું જેની તસવીરો સામે આવી છે.

રામ મંદિરના ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠા
આ શુભ પ્રસંગે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. અયોધ્યા અને કાશીના 101 આચાર્યો દ્વારા 21 મૂર્તિઓ, સોના-ચાંદીના આભૂષણ તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ મંદિરના ‘રામ દરબાર’ની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ભવ્ય મંદિરમાં જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે રામનગરીના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું. ચારે દિશાઓથી વૈદિક મંત્રોચ્ચારનો અવાજ ગુંજી રહ્યો હતો. બ્રહ્મમુહૂર્તથી જ મંદિર પરિસરમાં પંડિતો, આચાર્યો અને સંતોનો સામૂહિક અવાજ, શંખનો નાદ અને હવનની સુગંધથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.

સુરતના વેપારીએ કર્યું આભૂષણોનું દાન
આ પ્રસંગે સુરતના એક હીરાના વેપારીએ પણ રામ મંદિરને સોના-ચાંદીના હીરાજડિત આભૂષણો તેમજ ભગવાનના શસ્ત્રોની ભેટ આપી છે. આ આભૂષણો બનાવવાનું કામ કતાર ગામના એક જ્વેલર્સ દ્વારા પૂર્ણ કરાયું છે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશભરમાંથી લોકો રામ મંદિર ઉમટી પડ્યા હતા.

યોગી આદિત્યનાથે મૂર્તિઓનો અભિષેક કર્યો
યોગી આદિત્યનાથની હાજરીએ આ ગૌરવપૂર્ણ ક્ષણને વધુ દિવ્ય બનાવી દીધી. મુખ્યમંત્રીએ તમામ દેવતાઓની મૂર્તિઓનો અભિષેક કર્યો. આ પછી, રામ દરબારની મૂર્તિ પરથી આવરણ દૂર કરવામાં આવ્યું. રાજા રામને આભૂષણોથી શણગારવામાં આવ્યા. આ દરમિયાન, અયોધ્યાના 19 સંતો અને ધાર્મિક નેતાઓ પણ હાજર હતા. આ ઉપરાંત, ટ્રસ્ટ, સંઘ અને વિહિપના અધિકારીઓ પણ હાજર હતા. આ પહેલા, મુખ્યમંત્રીએ હનુમાનગઢીની મુલાકાત પણ લીધી હતી.

એલન મસ્કના પિતાએ પૂજા-અર્ચના કરી
અમેરિકાના અબજોપતિ બિઝનેસમેન એલન મસ્કના પિતા એરોલ મસ્ક પણ અયોધ્યાના દર્શને આવ્યા હતા. એમણે હનુમાનગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. . એમણે કહ્યું હતું કે, મારા જીવનમાં જે સારા કામ છે તે પૈકીનું આ એક ખૂબ જ સારું કામ થયું છે. રામ મંદિરમાં જઈને એમણે દર્શન કર્યા હતા. આધુનિક મંદિરના વખાણ કર્યા હતા.