રાજકોટમાં 27 જૂને વાજતે-ગાજતે નીકળશે અષાઢી બીજની ભવ્ય રથયાત્રા: 11મીએ જગન્નાથ મંદિરેથી નીકળશે જળયાત્રા, તૈયારીઓ શરૂ
ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ ઉપરાંત રાજ્યના અલગ-અલગ જિલ્લામાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે જો વાત રાજકોટની કરવામાં આવે તો રાજકોટમાં પણ જગન્નાથજીના રથયાત્રાની તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે.

27 જુને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મહોત્સવની વિધિવત શરૂઆત જેઠ સુદ પુનમના દિવસે જળયાત્રાથી થાય છે. રાજકોટમાં નાનામવા ખાતે આવેલ જગન્નાથ મંદિરે વૈદિક પરંપરા મુજબ તા.11-06-2025 ને બુધવારના રોજ ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 108 કળશધારી બાળાઓ વાજતે-ગાજતે નાનામવા ગામના કુંવે પાણી ભરવા માટે જશે જે પાણી અને કેશર ચંદનથી મંદિરના પટાંગણમાં ભગવાન જગન્નાથજીને સ્નાન કરવામાં આવશે.

આ જળયાત્રામાં બાળાઓ-બહેનો, સાધુસંતો અને ભક્તજનો જોડાશે. ધાર્મિક પરંપરા મુજબ ભગવાન ભકતોના દુઃખ હરનારા જગતના નાથને પણ શરદી થઇ જતી હોય તેના ઇલાજ કરવા માટે આ સ્નાન વિધિ કરવામા આવતી હોય છે. દુધ કેશર અને 108 ઘડા જળથી સ્નાન કરાવ્યા બાદ નીજ મંદિરમા પરત લાવવામા આવે છે. આ વર્ષે રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના હસ્તે આ અભિષેક વિધિ કરવ આવશે. આ જળયાત્રા અને અભિષેક વિધિમા ભકતજ જોડાવા જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી રામકિશોરદાસજીની યાદીમા જણાવાયુ છે.
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથ સુશોભન કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એક અઠવાડિયા બાદ 11 જૂનના રોજ ભગવાનની જળયાત્રા યોજાશે. આ જળયાત્રામાં સંતો, મહંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.
