અમને પાણી આપો…! પાકિસ્તાને ભારત સામે હાથ જોડયા, સિંધુ જળ સમજૂતી અંગે ફેર વિચારણા કરવા કરી અપીલ
પહેલગામમાં પાકિસ્તાનના આતંકીઓ દ્વારા આચરવામાં આવેલા નૃશંસ હત્યાકાંડ બાદ કેન્દ્ર સરકારે આક્રમક પગલાં લઈને પાકિસ્તાનની લાઈફલાઈન ગણાતી સિંધુ જળ સમજૂતિ રદ્દ કરી દેવાની જાહેરાત કરી હતી અને હવે પાકિસ્તાનનું ગળું સુકાઈ ગયું છે અને હડકંપ મચી ગયો છે ત્યારે પાકિસ્તાનની શાહબાઝ સરકારે ભારત સામે પોતાના આ નિર્ણય અંગે ફેરવિચારણા કરવા અને દયા કરવાની કાકલુદી કરી છે. પાકિસ્તાન સરકારે ભારત સામે ખોળો પાથર્યો છે અને એમ કહ્યું છે કે, પાકિસ્તાનમાં જળસંકટ મંડરાઈ રહ્યું છે અને ભારે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ભારતે સિંધુ જળસમૂજતિ રોકવાના નિર્ણય પર ફેરવિચારણા કરે તેવી અપીલ કરી છે.
પાકિસ્તાનના જળસંશાધન મંત્રાલયના સચિવ સૈયદ મુર્તુઝાએ ભારતના જળશક્તિ મંત્રાલયના સચિવ દેવશ્રી મુખર્જીને પત્ર લખ્યો છે અને તેમાં કાકલુદીઓ કરી છે જેમાં ભારત પોતાના નિર્ણય પર ફેરવિચાર કરે તેવી વિનવણીઓ કરી છે. પત્રમાં એવી કાકલુદી કરી છે કે, પાકિસ્તાન આ મુદ્દા પર વાત કરવા તૈયાર છે. નિયમ મુજબ પાકિસ્તાનથી આવેલો આ પત્ર વિદેશ મંત્રાલયને સુપરત કરી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં…
પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ કેન્દ્ર સરકારે ભારે આક્રમક વલણ લીધું હતું અને પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતિ રદ કરી દીધી હતી. વડાપ્રધાને ભારે આક્રોશ સાથે એમ કહ્યું હતું કે, લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં. ભારત હવે ત્રણ નદીઓના પાણીનો ઉપયોગ પોતાના માટે કરવાની યોજના બનાવે છે અને તેના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે પાક.ના આંખે અંધારા આવી ગયા છે.
ભારતે ચીનાબ નદીનું પાણી પણ રોક્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાન સાથે 1965, 1971 અને 1999ના યુધ્ધ બાદ પણ સિંધુ જળ સમજૂતિને સસ્પેન્ડ કરી ન હતી પરંતુ પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ચીનાબ નદીનું પાણી પણ રોકી દીધું હતું અને જેલમ નદી પર કિશનગંગા પરિયોજનાથી પણ પાણીના પ્રવાહને ઓછો કરી દીધો હતો.