JCBએ એક ચાંચ મારી’ને ગાંઠિયા ખાઈ રહેલા માતા-પુત્રી સહિત ચાર લોકો ભડથું થઈ ગયા
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર એક ગોઝારી ઘટના આકાર લઈ જવા પામી હતી જ્યાં JCBએ એક ચાંચ મારતાં જ ગાંઠિયા ખાઈ રહેલા ચાર લોકો ભડથું થઈ જવા પામ્યા હતા. JCB દ્વારા ઝાંઝરડા રોડ પર મંજૂરી વગર જ ખાડો ખોદવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને જેવો ખાડો ખોદવા માટે JCBએ ચાંચ મારી કે તુરંત જ ત્યાંથી પસાર થઈ રહેલી ગેસલાઈનને ચાંચ અડી જતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ આગની ઝપટે ત્યાં ઉભેલી ગાંઠિયાની રેંકડી પણ આવી જતાં માતા-પુત્રી સહિત ચાર લોકો સળગી ગયા હતા.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો પ્રમાણે ઝાંઝરડા રોડ ઉપરથી અન્ડરગ્રાઉન્ડ ગેસ પાઈપલાઈન બિછાવવામાં આવી છે. લાઈનમાં ગેસ સપ્લાય ચાલું હતી બરાબર ત્યારે જ એક JCB PGVCL કે મહાપાલિકા સહિત કોઈની પણ મંજૂરી લીધા વગર ઝાંઝરડા રોડ ઉપર પહોંચી ગયું હતું અને ખાડો ખોદવાનું શરૂ કર્યું હતું. જેવો તેણે ખાડો ખોદ્યો કે ગેસ લાઈનને JCBની ચાંચ અડી જતાં ક્ષણભરમાં આગ ફાટી નીકળી હતી.
આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે જ્યાં ખાડો ખોદાયો ત્યાંથી થોડે જ દૂર ઉભેલી એક ગાંઠિયાની રેંકડી સુધી પહોંચી હતી. આગ સમયે ગાંઠિયાની રેંકડી પર રૂપીબેન સોલંકી (ઉ.વ.39), તેમની ત્રણ વર્ષની પુત્રી ભક્તિ સોલંકી ઉપરાંત હરેશ રાબડિયા સહિત ચાર લોકો નાસ્તો કરી રહ્યા હતા. આ લોકો કશું સમજે તે પહેલાં જ આગે તેમને ઝપટમાં લઈ લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમના મૃતદેહ જ પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ આગને કારણે પાંચથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું તો આઠ જેટલા વાહન સળગી ગયા હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ, મહાપાલિકા, PGVCL સહિતના વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા. બીજી બાજુ ઘટના માટે જવાબદાર JCBના ચાલક સામે ગુનો નોંધી તેને સકંજામાં લેવામાં આવ્યો હતો.
