ધારીના મદ્રેસાના મૌલવીનું પાક. કનેક્શન? વ્હોટ્સએપમાં મળી પાક-અફઘાનનાં ગ્રુપની ચેટ, ATS કરશે તપાસ
પહલગામ આતંકી હુમલા બાદ દેશભરમાં બાંગ્લાદેશીઓ, પાક. નાગરિકોને શોધવાના સુરક્ષા એજન્સીઓના ચાલી રહેલા ઓપરેશનમાં અમરેલીના ધારીમાં સ્થાનિક પોલીસના ચેકિંગ દરમિયાન મદ્રેશાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન નીકળ્યાની કે આવી શંકા આધારે ઉચ્ચ અધિકારીઓ, એસઓજી તેમજ આઈ. બી. સહિતની એજન્સીઓએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે. સંનિગ્ધ હાલતમાં રહેલા મૌલાનાના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. આ ગ્રુપ ધાર્મિક્તા માટે છે કે અન્ય કોઈ ઈરાદાઓ માટે તે માટે પોલીસે તલસ્પર્શી તપાસ આરંભી છે. મૌલવી મોહમદફઝલ શેખને ATS અમદાવાદમાં તપાસ માટે લવાયા છે. મોબાઈલમાં ટેક્નિકલ તપાસ બાદ મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે.
પ્રાથમિક તબક્કે પોલીસના સુત્રોમાંથી જાણવા મળેલી માહિતી મુજબ ધારી પંથકમાં બાંગ્લાદેશીઓ છે કે કેમ ? તે અંગે એએસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ પીઆઈ અંકુર દેસાઈ તથા ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. ધારીના હીમખીમડિયા વિસ્તારમાં આવેલા મદ્રેશામાં પણ ચેકિંગ કરાયું હતું. મદ્રેશામાં રહેલા મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅજીજ શેખ (ઉ.વ.27) પાસેથી તેમના ડોક્યુમેન્ટ, આધાર-પુરાવા, મુળ રહેણાંક, વતન સહિતની માહિતી પોલીસ દ્વારા પૂછવામાં આવી હતી.
મૌલાના પાસે આવા કોઈ આધાર મળ્યા ન હતા. મૌલાનાએ પોતે અમદાવાદના જુહાપુરાના રહેવાસી હોવાનું કથન કર્યું હતું પરંતુ એ બાબતના કોઈ આધારભૂત પુરાવા તેમની પાસે નીકળ્યા ન હતા. મોબાઈલ ફોન ચેક કરાતોં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા હતા. સંનિગ્ધ મૌલાના ગતિવિધિ ધારી પોલીસને શંકાસ્પદ લાગતા ધારી પોલીસ મથકમાં હેડકોન્સ્ટેબલ શિવાભાઈ મકવાણા દ્વારા જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી. જેમાં મૌલાના મહમદ ફઝલ પાસે તેમના મુળ રહેણાંક અંગેના કોઈપણ આધાર પુરાવા રજુ કર્યા ન હોય જેથી તેનું મુળ નાગરિક્ત્વ અંગેની તેમજ આ શંકાસ્પદ વ્યક્તિના અસલ દસ્તાવેજ મેળવવા સહિતની નોંધ કરાવાઈ હતી.
મૌલાના પાસે કોઈ આધાર-પુરાવા ન હોય અને મોબાઈલમાંથી પાક.-અફઘાનના ગ્રુપ પણ મળી આવતા ગંભીરતા દાખવી તુરંત જ એસપી સંજય ખરાતને સમગ્ર બાબતથી વાકેફ કરાયા હતા. SOG પી.આઈ. આર.ડી.ચૌધરી સહિતના અધિકારીઓ, ટીમ ધારી દોડી આવી હતી અને મૌલાનાને પૂછતાચ માટે અમરેલી લઈ જવાયા હતા.
મૌલાના મોહંમદફઝલનો મોબાઈલ ફોન એસઓજી દ્વારા કબજે લેવાયો છે. કોની સાથે સંપર્કમાં હતા? કોલ ડીટેઈલ્સ ઉપરાંત ચેટ ચેક કરવા માટે પોલીસની ટીમે ધમધમાટ આરંભ્યો છે. મૌલાનાના મોબાઈલમાં પાક.-અફઘાનના સોશિયલ મીડિયા ગ્રુપ હોવાથી અને મૌલાનાએ આધારકાર્ડ કે આવા કોઈ પુરાવા રજૂ કર્યા ન હોવાથી શંકાના દાયરામાં આવ્યા હતા. બનાવના પગલે મૌલવી મોહમદફઝલ શેખને ATS અમદાવાદમાં તપાસ માટે લવાયા છે. મોબાઈલમાં ટેક્નિકલ તપાસ બાદ મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે
મૌલાનાએ તેના આધારકાર્ડ અન્ય પુરાવાઓ અમદાવાદ હોવાનું રટણ કર્યું હતું જે સત્ય હકિકત છે કે કેમ ? તે ચકાસવા તેમજ મોબાઈલનો અભ્યાસ કરવા તપાસનીશ ટીમોનો ધમધમાટ ચાલી રહ્યો છે. જરૂર પડ્યે મોબાઈલ ફોન ચેટ કે ફોન કોલ્સ ચેક કરવા માટે એફએસએલમાં પણ મોકલાશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલ તો અમરેલી જિલ્લામાં ધારી પંથકમાં મદ્રેશાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન નીકળ્યું કે કેમ ? તેવી ચર્ચાઓ ચાલી છે. જો કે હાલના તબક્કે આવું કાંઈ સત્તાવાર સ્પષ્ટ થયું નથી. જાણવા મળ્યા મુજબ મૌલાના તરફથી આજે જુહાપુરાનો હોવાના આધારપુરાવા રજુ થયા છે જે ઓરીજનલ છે કે કેમ તેની તપાસ માટે એક ટીમ અમદાવાદ દોડી ગઇ છે.