યુદ્ધના ભણકારા? ભારત-પાકિસ્તાન વચ્ચે ટેન્શનનો ગ્રાફ વધ્યો, આતંકી કેમ્પ ખાલી થવા લાગ્યા
પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓનો નિર્મમ હત્યા પછી ભારતે પાકિસ્તાન સામે એક પછી એક પગલાં લેવાના શરુ કર્યા છે તો બીજી તરફ પાકિસ્તાને પણ ભારત સામે ખોંખારો ખાધો છે. અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાનનાં આવી INS સુરત ઉપરથી મિસાઈલનું સફળ પરીક્ષણ પણ કરી લીધુ છે. પાકિસ્તાને ભારત માટે પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો છે એટલું જ નહી ભારત સાથે કોઈ પણ પ્રકારનો વેપાર પણ બંધ કરી દીધો છે. આમ બંને દેશો વચ્ચે ટેન્શનનો ગ્રાફ વધ્યો છે અને યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આ દરમિયાન રશિયન વેબસાઈટ RTએ ભારત-પાક. વચ્ચે કાંઇક મોટું થવા જઈ રહ્યુ છે તેવું ટ્વિટ કરતા આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન એ તરફ ખેંચાયુ છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારતના વલણની ટીકા કરી
ભારતના આક્રમક વલણથી પાકિસ્તાનમાં ભય પ્રસરેલો છે અને આ ભય વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સુરક્ષા કમિટીની બેઠક બોલાવીને ભારતના વલણની ટીકા કરી છે. શાહબાઝ શરીકે કહ્યું હતું કે, સિધુ નદીનું પાણી બંધ કરવાનો ભારતનો નિર્ણય યુદ્ધને આમંત્રણ આપવા જેવો છે. તેમણે ભારત સાથેનો તમામ વેપાર બંધ કરવાની જાહેરાત પણ કરી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં રહેલા ભારતીય દુતાવાસમાંથી સ્ટાફ ઘટાડવાની સુચના પણ આપી છે.
પાકિસ્તાને ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારો જેમાં શિમલા સમજુતિ પણ સામેલ છે તેને રદ કરવાની પણ ધમકી આપી છે. સાથોસાથ પાકિસ્તાનમાં રહેલા ભારતીયોના વિઝા રદ કરવાની જાહેરાત પણ કરી છે. સિખ તીર્થયાત્રીઓ સિવાયના તમામ ભારતીયોને 48 કલાકમાં પાકિસ્તાન છોડી દેવા આદેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાનનાં વિદેશ મંત્રીએ તો ભારત હુમલો કરશે તો અમે જડબાતોડ જવાબ આપશું તેવી ખોખલી ધમકી પણ આપી છે. ગુરુવારે એક તરફ ગભરાયેલું પાકિસ્તાન મિસાઈલ પરીક્ષણ કરવાની તૈયારી કરું રહ્યું હતું ત્યાં તો ભારતે અરબી સમુદ્રમાંથી INS સુરત ઉપરથી સમુદ્રમાંથી જમીન ઉપર હુમલો કરવાની ક્ષમતા ધરાવતી મિસાઈલનું સફળ પરીક્ષણ પણ કરી લીધુ હતુ.બીજી તરફ દિલ્હીમાં આખો દિવસ તમામ મોરચે હલચલ જોવા મળી હતી. વડાપ્રધાને આતંકીઓને અકલ્પનીય સજા આપવાની વાત કરી હતી. બપોરે ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર રાષ્ટ્રપતિ મુર્મુને મળવા ગયા હતા અને સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાની માહિતી આપી હતી. ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદી શુક્રવારે કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યા છે. તેઓ પહેલગામના ઘટનાસ્થળની પણ મુલકાત લેશે.
વિદેશ મંત્રાલયે 20 દેશના રાજદૂતોને બોલાવી માહિતી આપી
વિદેશ મંત્રાલયમાં ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી જેમાં 20 દેશોના રાજદૂતોને બોલાવાયા હતા. અમેરિકા, જર્મની, જાપાન, પોલૅન્ડ, બ્રિટન અને રશિયા સહિત તમામ દેશોના રાજદૂત સાઉથ બ્લોક ખાતે વિદેશ મંત્રાલયના કાર્યાલય પહોંચ્યા હતા. આ રાજદૂતોને પહલગામ આતંકવાદી હુમલાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ભારતની સુરક્ષા ચિતાઓથી અવગત કરાયા હતા. ભારતના પગલાં અંગેની માહિતી અપાઈ હતી. બીજી બાજુ ગૃહ મંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિને મળ્યા હતા અને ભારતના પગલાઓની જાણકારી આપી હતી. એ જ રીતે સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી અને ચર્ચા થઈ હતી.
આતંકી કેમ્પ ખાલી થવા લાગ્યા: મોતનો ડર
સીમા પાર જૈશનું વડુમથક પણ ખાલી: આતંકીઓ પૂંછડી દબાવી ભાગ્યા: અનેક ઈમારતો ખાલી થઇ ગઇઃ ભારતીય સેનાથી બચવા હવાતિયાં પાકિસ્તાની આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કરવાની ભૂલ કરી હતી, પરંતુ હવે તેમની હાલત ખરાબ છે અને તેમની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. અહવાલ છે કે ભારત સરકારે આ હુમલાનો યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી છે અને આ સમાચાર સરહદ પાર સુધી પહોંચી ગયા છે. પાકિસ્તાની સેનાની સાથે, પાકિસ્તાની આતંકવાદીઓમાં પણ ગભરાટ છે અને તેઓ ભારતીય સરહદથી ભાગવા લાગ્યા છે. આતંકી કેમ્પો ખાલી થવા લાગ્યા છે અને આતંકીઓ ભાગે ઈ ભાયડાની જેમ પૂછડી દબાવી નાસી રહ્યા છે અને અનેક આતંકીઓકેમ્પ છોડી ગયા છે.
સીમા પાર લોન્ચ પેડ્સની સાથે, જૈશ-એ-મોહમ્મદના મુખ્ય તાલીમ શિબિર અને મુખ્યાલયને પણ આતંકવાદીઓથી ખાલી કરાવી દેવામાં આવ્યું છે. જેથી જો ભારત તરફથી લોન્ચ પેડ્સ પર કોઈ હવાઈ હુમલો થાય તો તેમને બચાવી શકાય. સેટેલાઈટ તસવીરોમાં આ ગભરાટ દેખાયો છે. જૈશે તેનું બાવલપુર મુખ્યાલય ખાલી કરી દીધું છે, આ ફક્ત કોઈ મુખ્યાલય નથી, પરંતુ ૧૮ યુનિટમાં ફેલાયેલું એક વિશાળ મુખ્યાલય છે. જ્યાં હજારો આતંકવાદીઓ સાથે રહી શકે છે અને તાલીમ લઈ શકે છે.
24 કલાકમાં ઈમારતો ખાલી
પહલગામ હુમલાને 24 કલાક પણ થયા નથી કે ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેનો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે સરહદો બંધ કરી દેવામાં આવી છે. બધા પગલાં જોઈને આતંકવાદીઓને ડર છે કે તેમના પર ભારત દ્વારા ગમે ત્યારે હુમલો થઈ શકે છે. તેથી, મુખ્યાલયની ઘણી ઈમારતો 24 કલાકમાં ખાલી કરાવી દેવાઇ છે.