Fighter Jet Crash: જામનગરના સુવરડા ગામે એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ, એક પાયલટનું મોટ ; SP-કલેકટર ઘટનાસ્થળે
જામનગર નજીક એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસ વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું. સળગતું પ્લેન સુવરડા ગામની સીમ વિસ્તારમાં પડયું હતું અને પ્લેનમાંથી બે પાયલોટ કૂદી ગયા હતા ત્યારે એક પાયલોટનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે બીજા ઇજાગ્રસ્ત પાયાલોટને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના ?
જામનગર શહેરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલ સુવરડા ગામમાં વાડી વિસ્તારમાં સૂકા ઘાસના જથ્થામાં સળગતા પ્લેનનો કાટમાળ પડવાના કારણે આગ લાગી હતી, જેના કારણે ભારે અફડા તફાડીનો માહોલ સર્જાયો હતો, અને એરફોર્સના અધિકારીઓ તેમજ જામનગર જિલ્લાના પોલીસ અને વહીવટી શાસનના તમામ ઉચ્ચ અધિકારીઓ વગેરે દોડતા થયા હતા.
અધિકારીઓ ઘટનાસ્થળે
જામનગર કલેકટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ પણ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી દોડધામ શરૂ કરી દીધી હતી. તેઓ તુરતજ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને રેસ્ક્યુ કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવી હતી.
મોટી સંખ્યામાં ગ્રામજનો થયા એકત્ર
જયારે ફાઇટર પ્લેન ક્રેશ બાદ આગ લાગવાની ઘટના બનતાં મહાનગપાલિકા ફાયર બ્રિગેડની ટુકડીને દોડતી કરાવવામાં આવી હતી, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બાદ સુવરડા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.પોલીસ વિભાગની ટીમ તથા એરફોર્સ વગેરેની ટીમે દોડી જઇ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે મામલે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.
પ્રાથમિક જાણવા મળતી વિગતો મુજબ બે પાઇલટ ટ્રેનિંગ અર્થે જેગુઆર ફાઈટર પ્લેન લઈને નિકળ્યાં હતા ત્યારે અચાનક કોઈ કારણસર પ્લેન ક્રેશ થયું હતું. જેના પગલે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ ફાઈટર પ્લેનના ટૂકડે ટૂકડા વિખેરેલા જોવા મળ્યાં હતા.