89 વર્ષના વૃદ્ધ 47 વર્ષ જેલમાં સબડ્યા, અંતે અદાલતે કહ્યું, નિર્દોષ..નિર્દોષ..નિર્દોષ
જાપાનમાં 1966 માં થયેલી ચાર હત્યાઓ માટે દોષિત ઠર્યા બાદ 47 વર્ષની કેદ ભોગવનાર 89 વર્ષના ઇવાઓ હાકામાદા નામના વૃદ્ધને ખોટી સજા થઈ ગઈ હોવાનું સાબિત થતા સજાના દરેક દિવસ દીઠ 85 ડોલર લેખે કુલ 1.4 મિલિયન ડોલર એટલે કે અંદાજે 12 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.આ હતભાગી માણસે 47 વર્ષ મૃત્યુદંડના અમલની રાહ જોતા જેલમાં વિતાવ્યા હતા અને વિશ્વના સૌથી લાંબા સમય સુધી મૃત્યુદંડની સજા ભોગવનાર કેદી તરીકે ઇતિહાસમાં તેમનું નામ નોંધાઈ ગયું છે.
ઇવાઓ હાકામાદા ભૂતપૂર્વ વ્યાવસાયિક બોક્સર હતા.
1966માં, તેઓ જ્યાં કામ કરતા હતા એ શિઝુઓકા પ્રીફેક્ચરમાં તેમના બોસ, બોસના પત્ની અને તેમના બે બાળકોની હત્યા કરી તેમનું ઘર સળગાવી દેવાની ઘટના બની હતી.પોલીસે આ બારામાં હાકામાદાની ધરપકડ કરી અને તેમના લોહીવાળા કપડા પુરાવા તરીકે રજૂ કર્યા હતા.હાકામાદાએ જો કે એ કપડાં પોતાના ન હોવાનો અને પોલીસે કપડા પ્લાન્ટ કર્યા હોવાનો બચાવ કર્યો હતો પણ તેમની વાત કોઈએ સાંભળી નહોતી. 1968 માં તેમને મૃત્યુ દંડની સજા ફરમાવવામાં આવી હતી.બીજી તરફ તેમના બહેન હિડેકો હાકામાદાએ કાનૂની જંગ ચાલુ રાખ્યો હતો અને અંતે 2014માં થયેલા ડીએનએ ટેસ્ટમાં લોહીથી ખરડાયેલા કપડાં હાકામાદાના ન હોવાનું અને ગુના બાદ તે પ્લાન્ટ કરવામાં હોવાનું સાબિત થતાં તેમનો જામીન ઉપર છુટકારો થયો હતો અને તાજેતરમાં તેમને સંપૂર્ણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.એ નિર્દોષ માનવીએ ભોગવેલી યાતનાના વળતરરૂપે 1.4 મિલિયન ડોલર ચૂકવવાનો અદાલતે આદેશ કર્યો હતો.
જો કે 47 વર્ષ સુધી મૃત્યુ દંડની પ્રતીક્ષાએ તેમને માનસિક રીતે તોડી નાખ્યા હતા. હાકામાદાને જેલમાં એકાંતવાસમાં રાખવામાં આવ્યા હતા અને પરિણામે તેમની માનસિક હાલત કથળી ગઈ હતી.તેઓ વાસ્તવિકતાથી દૂર ભ્રામક દુનિયામાં જીવવા લાગ્યા હતા અને વાતચીતમાં મુશ્કેલી અનુભવતા હતા. તેમના વકીલે કહ્યું હતું કે જાપાનના ઇતિહાસમાં કોઈપણ વ્યક્તિને ચૂકવાયેલું આ સૌથી મોટું વળતર છે પરંતુ આટલા લાંબા સમયની જેલવાસથી તેમના માનસિક સ્વાસ્થ્યને અપૂર્ણીય નુકસાન થયું છે, અને 1.4 મિલિયન ડોલરનું વળતર આ નુકસાનની ભરપાઈ ક્યારેય નહીં કરી શકે.
આ ઘટનાને પગલે જાપાનમાં મૃત્યુદંડ અને ન્યાય વ્યવસ્થાની ખામીઓ પર ચર્ચા ઉભી કરી છે. જાપાનમાં કબૂલાતને “પુરાવાનો રાજા” ગણવાની પ્રથા અને લાંબી પૂછપરછની પ્રક્રિયા ખોટી સજાઓનું કારણ બની શકે છે તેવો મત અનેક લોકોએ વ્યક્ત કર્યો હતો.