સંસદમાં કયો મહત્વનો ખરડો થયો પસાર ? શું છે જોગવાઇઓ ? જુઓ
સંસદમાં નવા ઈમિગ્રેશન બિલને મંગળવારે મંજૂરી મળી ગઈ હતી જેને પગલે હવે ભારતમાં પ્રવેશ કરવા, રહેવા અથવા બહાર જવા માટે નકલી પાસપોર્ટ અથવા વીઝાનો ઉપયોગ કરનારા પર આકરી કાર્યવાહી થશે. બિલની જોગવાઈઓ હેઠળ આ પ્રકારનું ફ્રોડ કરનારાને સાત વર્ષ સુધીની જેલની સજા અને રૂ. 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
આ સાથે હવે કેન્દ્રને વિદેશીઓના આવાગમન અંગે વધુ અધિકારો મળશે, જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો, વિશિષ્ટ ક્ષેત્રો સુધી પહોંચને પ્રતિબંધિત કરવાની શક્તિઓનો સમાવેશ થાય છે. ભારતે આ મુદ્દા પર હવે સખત વલણ લીધું છે .
કેન્દ્રીય ગૃહમંત્રાલયની દેખરેખમાં તૈયાર કરવામાં આવેલા ઈમિગ્રેશન અને ફોરેનર્સ બિલમાં હોટેલો, યુનિવર્સિટીઓ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને નર્સિંગ હોમ દ્વારા વિદેશીઓ અંગે માહિતી આપવાની જોગવાઈ ફરજિયાત કરાઈ છે.
આ માધ્યમથી નિશ્ચિત સમય કરતાં વધુ સમય સુધી આવી સંસ્થાઓમાં રોકાનારા વિદેશીઓ પર નિરીક્ષણ રાખવામાં આવશે. એ જ પ્રકારે બધી જ આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ અને જહાજોને ભારતમાં કોઈપણ બંદર અથવા અન્ય સ્થળ પર પ્રવાસીઓ અને ક્રૂની યાદી જમા કરાવવી પડશે.