સોનાના નળિયા’વાળા કરી દેવા છે કહી ૬૦ લોકોનેતળિયે’ લાવી દીધાં !
છેતરપિંડી કરવામાં પીએચ.ડી. થઈ ચૂકેલા અલ્પેશ દોંગાનું વધુ એક કારસ્તાન: શ્રી મની પ્લસ શરાફી મંડળી થકી વર્ષે ૧૨% વ્યાજ આપવાની લાલચ આપી ૧૧.૮૯ કરોડ ચાંઉ કરી ગયો
અનેક લોકોએ બેન્કમાંથી ૮% વ્યાજે પૈસા ઉપાડી અલ્પેશની મંડળીમાં રોક્યા’ને અત્યારે માથે ઓઢીને રડી રહ્યા છે: અલ્પેશને રિમાન્ડ પર લેવાયો
રાજકોટમાં છેતરપિંડીને અંજામ આપવામાં પીએચ.ડી. થઈ ચૂકેલા અલ્પેશ દોંગા કે જેણે નાનામવા રોડ પર શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી નામે દુકાન' ખોલી ૬૦ લોકો પાસેથી ૧૧.૮૯ કરોડ રૂપિયાની રકમ મેળવી હતી. આ રકમ મેળવી ત્યારે અમુક લોકોને અલ્પેશે
તમને સોનાના નળિયાવાળા’ કરી દેવા છે તેવો વાયદો કર્યો હતો પરંતુ સોનાના નળિયા તો ન મળ્યા પરંતુ આ ૬૦ લોકો અત્યારે તળિયે આવી ગયા છે તેવું લાગ્યા વગર રહેતું નથી. આ અંગેની ફરિયાદ નોંધાતાં જ તાલુકા પોલીસે અલ્પેશ દોંગાની ધરપકડ કરી રિમાન્ડ ઉપર લીધો હતો.
આ અંગે રશ્મિનભાઈ ચુનીલાલભાઈ પરમાર (ઉ.વ.૫૭)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે સાત વર્ષ પહેલાં તેમનો પરિચય અલ્પેશ દોંગા સાથે થયો હતો. આ વેળાએ અલ્પેશે કહ્યું હતું કે જો તેની સહકારી મંડળીમાં રોકાણ કરશો તો વર્ષના ૧૨% લેખે વ્યાજ અને વળતર મળશે સાથે સાથે છ વર્ષમાં તમામ રકમ પરત મળી જશે. આ પછી રશ્મિનભાઈએ તેમના વિધવા ભાભીના ૧૪ લાખનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ અલ્પેશ નિયમિત વ્યાજની ભરપાઈ કરતો હતો. જો કે જ્યારે જ્યારે અલ્પેશ સાથે મુલાકાત થતી ત્યારે તે એમ કહેતો કે `તમે તમારા સગા-વ્હાલા અને મિત્રસર્કલમાં પણ વાત કરો કે અમારી સહકારી મંડળીમાં રોકાણ કરે, બધાને સોનાના નળિયાવાળા કરી દેવા છે, જરૂર પડે તો બેન્કમાંથી લોન લઈને પણ અમારી મંડળીમાં મુકશો તો પણ તમને નફો જ રહેવાનો છે.’ આ સાંભળ્યા બાદ રશ્મિનભાઈએ મકાન ઉપર બેન્કમાંથી ૪૦ લાખની લોન લઈ મંડળીમાં મુકી હતી. ડિઇેમ્બર-૨૦૨૩ સુધી નિયમિત વ્યાજ મળતું હતું પરંતુ ત્યારપછી બધું બંધ થઈ ગયું હતું.
આ પછી ધૂંબો લાગ્યાની આશંકા જતાં જ બધા લોકો એકઠા થતાં એવો ખુલાસો થયો હતો કે અલ્પેશે કુલ ૬૦ લોકો પાસેથી ૧૧,૦૯,૯૮,૦૦૦ ઉઘરાવ્યા છે અને પરત કર્યા નથી. આ તમામને ડિસેમ્બર-૨૦૨૩ બાદથી જ વ્યાજ મળવાનું બંધ થઈ ગયું હતું.
તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.એમ.હરિપરાએ જણાવ્યું કે અલ્પેશ વિરુદ્ધ અગાઉ પણ વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ હતી. તેણે ઉઘરાવેલી રકમનું શું કર્યું તે સહિતની વિગતો મેળવવા માટે તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.
આ અંગે ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે ફરિયાદ નોંધાયા બાદ અલ્પેશ દોંગાની ધરપકડ કરી લેવામાં આવી હતી. તપાસમાં એવો ખુલાસો પણ થયો છે કે અલ્પેશે લોકોને મિલકત બેન્કમાં ગીરવે મુકાવીને રકમ મેળવી હતી સાથે સાથે એ રકમ વ્યાજે ફેરવી રહ્યો હતો. લોકોને વ્યાજે પૈસા આપ્યા બાદ મિલકતો પણ અલ્પેશે લખાવી લીધી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તમામ મિલકતો ટૂંક સમયમાં ટાંચમાં લેવામાં આવશે.