2009માં ભારતમાં પણ હાઈજેક થઈ હતી ટ્રેન
ઝારખંડમાં નકસલવાદીઓએ ૧૦૦૦ મુસાફરો સાથેની રાજધાની એક્સપ્રેસ ઉપર કબજો કરી લીધો હતો.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલુચ વિદ્રોહીઓએ ઝફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી હાહાકાર મચાવી દીધો છે. આ હાઇજેકની ઘટના જેવી જ ઘટના ભારતમાં 16 વર્ષ પહેલા બની હતી. 2009માં ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરવામાં આવી હતી અને દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ એ સમય હતો જ્યારે દેશમાં નક્સલીઓનો આતંક ચરમસીમાએ હતો.
આ ઘટના ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં 22 ઓક્ટોબર 2009ના રોજ ઘટી હતી. જ્યારે માઓવાદી નક્સલીઓએ ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસને પોતાના કબજામાં કરી લીધી હતી. આ ટ્રેનમાં લગભગ 1000 મુસાફરો સવાર હતા. ટ્રેન ભુવનેશ્વરથી ઉપડી હતી અને રાતે ઝારખંડ અને બિહારની સફર કાપવાની હતી. જેવી આ ટ્રેન રાતે ઝારખંડમાં ઘૂસી કે કે રાતના 12 વાગ્યા સુધી તો બધુ બરાબર હતું પરંતુ પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં એન્ટર થતા જ પાટા પર લગભગ બે કિલોમીટર પહેલેથી જ કેટલાક લોકોએ ફટાકડા ફોડવાનું અને લાલ ઝંડા દેખાડવાનું શરૂ કરી દીધુ હતું.
રાજધાની એક્સપ્રેસ રાત્રે વધુ સ્પીડે ચાલતી હોય છે પણ અહી રાતે 2.30 વાગ્યાના આસપાસ લોકો લાલટેન અને લાલઝંડા લઈને પાટાની બંને બાજુ ઊભા રહી ટ્રેનને ઊભી રાખવાનો ઈશારો કરતા હતા. ડ્રાઈવરે મામલો સમજવા માટે થોડી ઝડપ ઘટાડી. પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના બાનો અને રાયકેરા સ્ટેશનો વચ્ચે જંગલમાં તેણે જોયું કે પાટા પર આગળ લાકડીના મોટા મોટા ટુકડા પડ્યા હતા. ડ્રાઈવરે ટ્રેન રોકવી પડી.
જોતજોતામાં તો લગભગ 200થી 250 હથિયારબંધ નક્સલીઓએ ટ્રેનને ઘેરી લીધી અને પોતાના કબજામાં લઈ લીધી. આ વિસ્તાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી એક હતો. જ્યાં માઓવાદી સંગઠન પોતાની હાજરી અને પ્રભાવને જાળવી રાખવા માટે સતત હિંસક ગતિવિધિઓને અંજામ આપતા હતા. નક્સલીઓએ સૌથી પહેલા ત ટ્રેક પર લાકડીના ટુકડા અને પથ્થર મૂકી દીધા જેને કારણે ડ્રાઈવરે મજબૂર થઈને ટ્રેન રોકવી પડી. ત્યારબાદ હથિયારોથી લેસ નક્સલીઓની એક મોટી ટુકડી જંગલમાંથી આવી અને ચારેબાજુ ફેલાઈ ગઈ હતી અને બંદૂકની અણીએ ટ્રેનને કબજામાં લઈ લીધી હતી.
નક્સલીઓએ મુસાફરોને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. ટ્રેનના ડબ્બામાં તેઓ ઘૂસવા લાગ્યા. ટ્રેનના એન્જિન અને કેટલાક ડબ્બા પર કાબૂ કરી લીધો. આ દરમિયાન મુસાફરોને કહ્યું કે તેઓ તેમને નુકસાન પહોંચાડશે નહીં. પરંતુ આ કાર્યવાહી સરકાર વિરુદ્ધ તેમના વિરોધને પ્રદર્શિત કરવા માટે છે. નક્સલીઓએ ટ્રેનનો વીજળી પૂરવઠો પણ ખોરવી નાખ્યો હતો જેથી કરીને સંચાર અને સુરક્ષા વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઇ ગઈ હતી.
આ ટ્રેન અપહરણ કાંડ લગભગ ચાર કલાક સુધી ચાલ્યો હતો. અને સવારે નક્સલીઓ અચાનક જ જંગલમાં પાછા ફરી ગયા. આ દરમિયાન નક્સલીઓએ ટ્રેનને પોતાના કંટ્રોલમાં રાખી અને મુસાફરોને બહાર જતા રોક્યા હતા. તેમનો હેતુ હિંસા ફેલાવવાનો કે મુસાફરોને નુકસાન પહોંચાડવાનો નહતો પરંતુ સરકાર અને સુરક્ષા દળો પર દબાણ નાખવાનો હતો. આ ઘટના એવા સમયે ઘટી હતી જ્યારે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલતી હતી. નક્સલીઓએ આ હાઈજેક દ્વારા પોતાની તાકાત દેખાડવા માટે તથા ચૂંટણી પ્રક્રિયામાં વિધ્ન નાખવાની કોશિશ કરી હતી.
કેમ હાઈજેક કરી હતી ટ્રેન
નક્સલીઓએ આ ઘટનાને પ્રચાર તરીકે ઉપયોગમાં લીધી. તેમણે દાવો કર્યો કે આ કાર્યવાહી સરકારની નીતિઓ વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શન હતી. ખાસ કરીને એ નીતિઓ વિરુદ્ધ જે આદિવાસી સમુદાયોના હિતોને નજરઅંદાજ કરતી હતી. હાઈજેક દ્વારા તેમણે મીડિયા અને જનતાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું. ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક પોલીસ અને રેલવે સુરક્ષા બળ (આરપીએફ) એક્શનમાં આવી ગયા હતા. જો કે ગાઢ જંગલો અને નક્સલીઓ વધુ હોવાથી તાબડતોબ કાર્યવાહીમાં વિલંબ થયો હતો. સવારે 4 વાગ્યાની આસપાસ કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ) અને ઝારખંડની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. નક્સલીઓએ પહેલેથી જ પોતાની રણનીતિ બનાવી લીધી હતી. તેઓ સુરક્ષાદળોના પહોંચતા પહેલા જ જંગલમાં ગાયબ થઈ ગયા હતા. સુરક્ષાદળોએ ટ્રેનને તપાસી અને પછી મુસાફરોને સુરક્ષિત કાઢ્યા બાદ ટ્રેનને રવાના કરી હતી.
બીજી પણ ઘટનાઓ
૬ઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૩નાં રોજ મુંબઈ-હાવડા ટ્રેક ઉપર સિરસા ગેટ થી કુમ્હારી વચ્ચે લગભગ ૧૩ કિલોમીટર સુધી જન શતાબ્દી ટ્રેનને હાઈજેક કરવામાં આવી હતી. આ મામલામાં ૬ આરોપીઓને આજીવન સજા પણ થઇ હતી.
આ ઘટના ઉપરાંત 13 માર્ચ 2006ના રોજ પણ ઝારખંડના લાતેહાર જિલ્લામાં એક ટ્રેન હાઈજેકની ઘટના ઘટી હતી. 13 માર્ચના રોજ નક્સલીઓએ બરવાડી-મુગલસરાય પેસેન્જર ટ્રેનને હાઈજેક કરી હતી.
1994માં બોમ્બે-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનનું પણ કેટલાક હથિયારબંધ લોકોના એક સમૂહે અપહરણ કર્યુ હતું. એવું કહેવાય છે કે જેલમાં બંધ એક રાજનેતાના છૂટકારા માટે આ ટ્રેનનું અપહરણ કરાયું હતું.