ગાંડી ડાહીને શિખામણ દે ! સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ તમામ કોલેજોને એનસોસી મેળવી લેવા તાકીદ કરી
એક લાખ ઉત્તરવહીઓ જ્યાં પડી છે તેવા મુખ્ય બિલ્ડીંગ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ ફાયર એનઓસી જ નથી
રાજકોટ : રાજકોટની ગેમઝોનમાં આગની ઘટનામાં નિર્દોષ 30 જેટલા લોકોના મૃત્યુ બાદ હાઇકોર્ટની સરકારને ફટકાર પડતા જ ફાયર એનઓસી ફરજિયાતનો મુદ્દો ફરી સળગ્યો છે અને હવે શાળા, કોલેજો,હોસ્પિટલ અને બહુમાળી ઇમારતોની ફાયર સેફટીની લોલમલોલ ફરી બહાર આવતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ તમામ કોલેજોને ફાયર એનઓસી અપડેટ કરવા તાકીદ કરી કંઈપણ દુર્ઘટના ઘટે તો કોલેજોની જવાબદારી ફિક્સ કરતો પરિપત્ર કર્યો છે, બીજી તરફ સૌરાષ્ટ યુનિવર્સીટી સંકુલમાં જ આવેલા 29 ભવનો અને સ્પોર્ટ્સ સંકુલમાં જ ફાયર એનઓસી ન હોવાથી ગાંડી ડાહીને શિખામણ આપે તેવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસ અગ્રણી નિદત બારોટે યુનિવર્સીટીમાં ફાયર એનઓસીનો નિયમ પાલન ન થતો હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને અચાનક જ ગુજરાત સરકારના ફાયરસેફટીના નિયમોં યાદ આવતા યુનિવર્સીટી દ્વારા તમામ સંલગ્ન કોલેજોને ફાયર સેફટી મુદ્દે એનઓસી અપડેટ કરવા તાકીદ કરી કઈ પણ ઘટના ઘટે તો જે તે કોલેજને જવાબદાર ગણવા પરિપત્ર કર્યો છે, બીજી તરફ કોંગ્રેસ અગ્રણી નિદત બારોટે જણાવ્યું હતું કે, યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ તમામ ભવનોને પણ ફાયર એનઓસીનો નિયમ લાગુ પડે છે અને માત્ર ફાયર એક્ઝિગ્યુટર લગાવવાથી જ ફાયર સેફટીના નિયમોનું પાલન નથી થતું તમામ માટે એનઓસી ફરજીયાત છે.
વધુમાં નિદત બારોટે જણાવ્યું હતું કે, યુનિવર્સીટીના મુખ્ય ભવનમાં 1લાખથી વધુ ઉત્તરવહીઓ પડી છે અને આ મુખ્ય બિલ્ડીંગ 9મીટરની વ્યાખ્યામાં આવે છે એ જ રીતે યુનિવર્સીટીનું હોકી ગ્રાઉન્ડ આખું સિન્થેટિક મટિરિયલથી બનેલું છે તેમજ બેડમિન્ટન ગ્રાઉન્ડ અને સ્વીમીંગપુલ પણ 9 મિત્રની વ્યાખ્યામાં આવ્યા છે આ તમામ સ્થળે પણ ફાયર એનઓસી ન હોવાનું તેમને જણાવ્યું હતું.
યુનિવર્સીટીના તમામ ભવનમાં અગ્નિશમનના સાધનો છે : રજિસ્ટ્રાર
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફાયર સેફટી મામલે એનઓસી છે કે, કેમ તે અંગનો સવાલ રજિસ્ટ્રાર પરમારને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, યુનિવર્સીટીમાં આવેલા તમામ ભવનોમાં ફાયર એક્ઝિક્યુટર અને બકેટ લગાવેલા જ હશે (છે કે નહીં ખબર નહીં) સાથે જ તમામ ભવનોમાં 9 મીટરનો નિયમ લાગુ પડતો ન હોવાનું તેમને જણાવી યુનિવર્સીટીના ભવનોની ફાયર એનઓસી મામલે ગોળગોળ જવાબ આપ્યો હતો.