વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત રાજ્ય એટલે ગુજરાત : જાણો સિંહ, વરૂ, ઘુડખરની કેટલી છે વસ્તી ??
છેલ્લા દોઢ દાયકાથી વન્ય પ્રાણીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. આજે ગુજરાતમાં એશિયાઈ સિંહ, નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા, વરૂ, ઘુડખર, ડોલ્ફિન, સર્પ જેવી વિવિધ પ્રજાતિઓની અંદાજિત ૫.૬૫ લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.
રાજ્યમાં છેલ્લે વર્ષ ૨૦૨૦માં થયેલી વન્યજીવ વસ્તી ગણતરી મુજબ એશિયાઈ સિંહની સંખ્યા ૬૭૪થી વધુ, જ્યારે વસ્તી અંદાજ – ગણતરી વર્ષ ૨૦૨૩ મુજબ નીલગાય ૨.૨૪ લાખથી વધુ, વાંદરા બે લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ૯,૧૭૦ કાળીયાર, ૮,૨૨૧ સાંભર, ૬,૨૦૮ ચિંકારા, ૨,૨૯૯ શિયાળ, ૨,૨૭૪ દિપડા, ૨,૨૭૨ લોંકડી, ૧,૪૮૪ વણીયર, ૧,૦૦૦થી વધુ ચોશીંગા તેમજ ૨૨૨ વરૂ રાજ્યમાં નોંધાયા છે. ઉપરાંત ગત વર્ષ ૨૦૨૪માં યોજાયેલી ગણતરી મુજબ ૭,૬૭૨ જેટલા ઘુડખર, ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા ૩૦૦થી વધારે ઝેરી સર્પો અને ૬૮૦ જેટલી ડોલ્ફિન સહિત ગુજરાતમાં કુલ ૫.૬૫ લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.
તાજેતરમાં વન વિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (‘ગીર’) ફાઉન્ડેશન દ્વારા મહત્વની પહેલ થકી વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં વરૂ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ૧૩ જિલ્લામાં અંદાજે ૨૨૨ વરૂ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૮૦ વરૂ ભાવનગર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે ૩૯ નર્મદા જિલ્લામાં, ૩૬ બનાસકાંઠામાં, ૧૮ સુરેન્દ્રનગરમાં, ૧૨-૧૨ જામનગર અને મોરબીમાં તેમજ ૦૯ કચ્છ જિલ્લામાં વરૂ જોવા મળ્યા છે. ઉપરાંત પોરબંદર, મહેસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત જિલ્લામાં પણ વરૂનું અસ્તિત્વ નોંધાયું છે.
ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે રાજ્યમાં ૭,૬૭૨ જેટલી ઘુડખરની વસ્તીમાં નોંધાઈ છે, એટલે કે અંદાજે ૨૬.૧૪ ટકાનો વધારો થયો છે. ઘુડખર મુખ્યત્વે રાજ્યના ૬ જિલ્લાઓમાં જોવા મળે છે, જેમાં ૨,૭૦૫ ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે ૧,૯૯૩ ઘુડખર કચ્છ જિલ્લામાં, ૧,૬૧૫ પાટણમાં, ૭૧૦ બનાસકાંઠામાં, ૬૪૨ મોરબીમાં તેમજ ૦૭ ઘુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે.
જળચર – વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના ૪,૦૮૭ ચો. કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે.
કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ પણ તૈયાર કરવા મંજૂરી મળી છે, જેનું કામ હાલ પ્રગતિમાં છે. જે ભવિષ્યમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટે અગત્યનો ભાગ ભજવશે.
આ ઉપરાંત વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન”ની સ્થાપના કરવામાં આવી છે. આ સર્પ સંશોધન સંસ્થાનમાં હાલમાં લગભગ ૩૦૦થી વધારે ઝેરી સાપ રખાયા છે, જેની સંખ્યા ભવિષ્યમાં ૩,૦૦૦ સુધી લઈ જવામાં આવશે.