કોલકત્તામાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ : લોકો વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને બહાર દોડી ગયા, કોઈ નુકસાની નહીં
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેનાથી લોકો ગભરાઈ ગયા હતા. એવું કહેવાય છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું અને તેની ઊંડાઈ 91 કિલોમીટર હતી. જોકે ભૂકંપના ભારે આંચકાને કારણ લોકોએ ઊંઘમાં જ ઘરની બહાર દોટ મૂકી હતી. કોઈ નુકસાની કોઈને થઈ નહતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પણ ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. કોલકાતામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરથી ઘણું દૂર હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 91 કિલોમીટર નીચે હતું, તેથી ભૂકંપથી કોઈ નુકસાન થવાની શક્યતા ઓછી જ હોય છે. હકીકતમાં, સપાટીથી 5 કે 10 કિલોમીટર નીચે આવતા છીછરા ધરતીકંપો સપાટીથી ખૂબ નીચે આવતા ધરતીકંપો કરતાં વધુ નુકસાન પહોંચાડે છે.
ચાલુ વર્ષે 8 જાન્યુઆરીએ પણ કોલકાતામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા કારણ કે તિબેટના દૂરના વિસ્તારો અને નેપાળના કેટલાક ભાગોમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ઉત્તર બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે કોઈ નુકસાન થયું નહોતું.