અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : જૈન દંપતીનું ઘટનાસ્થળે મોત, 2 બાળકોનો ચમત્કારિક બચાવ
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે વધુ એકવાર રક્તરંજિત બન્યો છે. રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ આવી રહેલા એક પરિવારની એમજી હેક્ટર કાર આગળ જઈ રહેલા આઈસર પાછળ ઘૂસી જતા પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં સવાર બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો બનાવસ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના શાહીબાગમાં રહેતા 36 વર્ષીય ગણપતલાલ જૈન, પત્ની ઉષાબેન અને તેમના બે બાળકો ગત મોડી રાત્રે કારમાં વડોદરાથી અમદાવાદ આવી રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર તેમની કાર ઓવરસ્પીડમાં આગળ ચાલતી આઇસર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

કારમાં સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેમના બે નાના બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને બે બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.