પટણામા અનશન પર બેસેલા પ્રશાંત કિશોરને શું થયું ? જુઓ
બિહારના પટણામાં બીજી જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યાથી જન સૂરજ પાર્ટીના વડા અને પૂર્વ ચૂંટણી વ્યૂહ નીતિકાર પ્રશાંત કિશોર આમરણાંત ઉપવાસ પર છે. આ દરમિયાન તેમની તબિયત સોમવારે મોડી રાત્રે બગડી હતી. ત્યારે મંગળવારે સવારે મેડિકલ ટીમ તેમના ઘરે પહોંચી હતી. તપાસ બાદ તેને એડમિટ કરવાની સલાહ આપવામાં આવી હતી. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જન સૂરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોર નબળાઈ અને ડિહાઇડ્રેશનને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમની સંપૂર્ણ આરોગ્ય તપાસ હૉસ્પિટલમાં કરવામાં આવી છે. હૉસ્પિટલ જતાં પહેલાં તેમણે જણાવ્યું હતું કે, ‘મારી તબિયત ખરાબ હોવા છતાં આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે.’
બિહાર પબ્લિક સર્વિસ કમિશનની 70મી પ્રિલિમ્સ પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા પ્રશાંત કિશોરને સોમવારે વહેલી સવારે ચાર વાગ્યે પટણા પોલીસ દ્વારા ધરણાં સ્થળ પરથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા અને અટકાયત કરવામાં આવી હતી. જો કે, બાદમાં તેમને સ્થાનિક કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.