કોંગ્રેસના અધિવેશનમાં શું ભગો થયો ? શા માટે પાર્ટી આવી નિશાને ? જુઓ
કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક ૨૬ અને ૨૭ એમ બે દિવસ માટે મળી છે. ત્યારે આ પહેલા નેતાઓના સ્વાગત માટે પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા છે, જેના કારણે વિવાદ છેડાઈ ગયો છે. આરોપ છે કે, પાર્ટીના કાર્યકરોએ બેનરો અને ફ્લેક્સમાં ભારતના નકશાને વિકૃત રૂપે રજૂ કર્યો છે.
બેલાગવી શહેરના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલા આ બેનરોમાં છપાયેલા ભારતના નકશામાંથી પાકિસ્તાનના કબજા વાળું કાશ્મીર અને અક્સાઈ ચીનના વિસ્તારોને ગાયબ કરી દેવામાં આવ્યા છે. આ મામલે ભાજપે પલટવાર કર્યો હતો અને આકરા પ્રહારો કરીને કોંગ્રેસને નવી મુસ્લિમ લીગ ગણાવી દીધી હતી.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 26 અને 27 ડિસેમ્બરના રોજ બેલગાવીમાં યોજાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટી આ વર્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનની શતાબ્દી તરીકે ઉજવણી કરી રહી છે, જેની સ્થાપના 1924માં થઈ હતી. આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.
બીજી તરફ સ્થાનિક ભાજપના કોર્પોરેશન કાઉન્સિલર શ્રેયા નાકડીએ આ અંગે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, ‘ભારતનો તાજ ગાયબ છે. હવે આ મહાત્મા ગાંધીનું ભારત નથી પણ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું ભારત છે.’ ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘કોંગ્રેસ હવે નવી મુસ્લિમ લીગ બની ગઈ છે. તે ભારતને ફરીથી તોડવા માગે છે.’ ભાજપના નેતા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પણ કોંગ્રેસની પત્રકારો સામે આ મુદ્દે આકરી ટીકા કરી હતી.