ફક્ત દવા જ નહીં લેબોરેટરી-ડૉક્ટરો વચ્ચે પણ ‘ઈલુ ઈલુ’
એક નહીં અઢારેય વાંકા…!
ડેંગ્યુ-મેલેરિયા સહિતની બીમારીના ટેસ્ટીંગ માટે ચાલી રહેલો કમિશનનો ભયાનક ખેલ: ૨૫થી ૫૦% સુધીની ટકાવારી !
ટ્રસ્ટની લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો તો ૫૦થી ૧૦૦ રૂપિયા, એ જ ટેસ્ટ ખાનગી લેબમાં કરાવો તો થઈ જાય છે સીધા ૪૦૦થી ૫૦૦
જે ટેસ્ટ હોસ્પિટલની લેબમાં ન થાય અને બહાર થાય એટલે પ્રિસ્ક્રિપ્શનમાં તુરંત લખાઈ જાય છે
રેફરન્સ ડૉક્ટર’નું નામ
દવાનું વેચાણ વધારવા જેમ એમ.આર. હોય છે તેમ ટેસ્ટીંગનું સેટિંગ' કરવા પીઆરઓ કરે છે મહેનત

ફાર્મા કંપની-ડૉક્ટરો વચ્ચે કમિશનના ખેલને કારણે દર્દીઓ બેફામ લૂંટાઈ રહ્યાનું અને આ ખેલ કેવી રીતે ચાલે છે તેની અણીથી તણી સુધીની તમામ વિગતો
વોઈસ ઓફ ડે’ દ્વારા ઉજાગર કર્યા બાદ તેના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે.

ટૂંક સમયમાં જ સરકાર દ્વારા કોઈ સજ્જડ પગલું ભરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે ત્યારે હવે દવા જ નહીં બલ્કે લેબોરેટરીઓ અને ડૉક્ટરો વચ્ચે પણ કમિશનરૂપી ઈલુ ઈલુ'નો પર્દાફાશ થઈ રહ્યો છે. અત્યારે ડેંગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાએ માથું ઉંચક્યું છે ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં ટેસ્ટ થઈ રહ્યા છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ટ્રસ્ટ સિવાયની અન્ય ઘણી બધી એવી લેબોરેટરી છે જેનું ડૉક્ટર સાથે સીધું સેટિંગ હોવાને કારણે તેનો આર્થિક માર દર્દી ઉપર પડી રહ્યો છે. આ માટે લેબોરેટરી ડૉક્ટરોને ૨૫થી ૫૦% સુધીનું તગડું કમિશન ચૂકવી રહ્યાનું પણ સામે આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે તમે કોઈ ટ્રસ્ટ સંચાલિત લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો તો અન્ય નજીવા દરે તે થઈ જતો હોય છે. શહેરના અનેક તબીબો એવા છે જે ઈમાનદારીપૂર્વક કહે છે કે મોંઘીદાટ લેબમાં ટેસ્ટ કરાવવાની જગ્યાએ ટ્રસ્ટની લેબમાં જ ટેસ્ટીંગ કરાવી લેજો પરંતુ અનેક નફાખોર ડૉક્ટરો એવા છે જેઓ પોતાનું અને લેબોરેટરી સંચાલકનું ખીસ્સું ભરવા માટે ધરાર તે જ લેબોરેટરીમાં દર્દી જાય તેવો આગ્રહ રાખે છે.
અહીં દર્દી ટેસ્ટીંગ કરાવે એટલે તેના પાસેથી વસૂલાયેલા બિલમાંથી નક્કી થયેલી ટકાવારી પ્રમાણે ડૉક્ટરને ચૂકવણું કરવામાં આવે છે. આમ થવાથી ડૉક્ટરનું પણ સચવાય છે અને લેબોરેટરીનો ધંધો પણ ધમધોકાર ધમધમે છે. જો કોઈ ડૉક્ટરે લખી આપેલી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાની જગ્યાએ ટ્રસ્ટની લેબમાં ટેસ્ટીંગ કરાવાય તો અનેક ડૉક્ટર એવા છે જે તે ટેસ્ટીંગ માન્ય રાખતા નથી. જો આમ કરવામાં આવી રહ્યું હોય તો સમજી જવાનું કે આ ડૉક્ટર કમિશનના ખેલમાં પૂરેપૂરો સામેલ છે. ટ્રસ્ટની લેબમાં ટેસ્ટ કરાવાય તો ૫૦થી ૧૦૦ રૂપિયામાં સરળતાથી થઈ જાય છે જેની સામે ખાનગી લેબોરેટરીમાં આ જ ટેસ્ટ ૪૦૦થી ૫૦૦ રૂપિયામાં પડતો હોય છે. શહેરની અનેક એવી હોસ્પિટલ પણ છે જેને પોતાની લેબોરેટરી છે પરંતુ તેને ત્યાં તમામ પ્રકારના ટેસ્ટ થતાં ન હોવાથી ડૉક્ટર દ્વારા દર્દીને તે ટેસ્ટ બહારથી કરાવવા માટેનું કહેવામાં આવે છે. આ ટેસ્ટ લખેલો જે કાગળ હોય છે તેમાં
રેફરન્સ ડૉક્ટર’ લખેલું હોય છે. જે ડૉક્ટરનું નામ લખેલું હોય તેનું કમિશન ખાનગી લેબોરેટરીમાં નક્કી હોય છે અને તેના આધારે જ હિસાબ-કિતાબ કરવામાં આવે છે. આ બધો ખેલ પાર પાડવા માટે પીઆરઓ નિર્ધારિત હોય છે અને તે જ ડૉક્ટર પાસે જઈને પોતાનો ધંધો તેમજ તબીબનું ખીસ્સું ભરાઈ રહે તેની વ્યવસ્થા ગોઠવી આપતો હોય છે.
બધા ડૉક્ટર સરખાં નહીં, ટકાવારી રાખનારાની સંખ્યા પણ ઓછી નથી
એવું નથી કે રાજકોટના બધા ડૉક્ટર ખાનગી લેબમાં જ ટેસ્ટ કરાવવા પર ભાર આપે છે. અનેક તબીબો એવા છે જેઓ ટ્રસ્ટની લેબમાં રિપોર્ટ કરાવ્યો હોય તો તેને પણ માન્ય રાખીને તેના પરિણામના આધારે સારવાર કરે છે. જો કે ટકાવારી ખાનારા ડૉક્ટરોની સંખ્યા પણ ઓછી નથી. શહેરમાં અત્યારે ૪૦૦થી વધુ લેબોરેટરી ચાલી રહી છે જે તમામ ધમધોકાર ચાલી રહી છે તેનું કારણ કમિશનીયા ડૉક્ટર જ છે. આ ડૉક્ટરો દ્વારા લખી અપાયેલા ટેસ્ટીંગથી જ દર્દી એ લેબમાં દોડે છે અને ત્યાં નિર્ધારિત કરાયો હોય એટલો ચાર્જ ચૂકવે છે.
સીટી સ્કેન, એમઆરઆઈમાં થઈ રહેલી ઉઘાડી લૂંટ…કોઈનો અંકુશ નહીં
શહેરમાં દરરોજ મોટી સંખ્યામાં સીટી સ્કેન, એમઆરઆઈ સહિતના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેમાં પણ કમિશન મેળવનારા ડૉક્ટરોનો ભાગ હોય છે. વળી, આ રિપોર્ટ એટલા મોંઘા હોય છે જેના કારણે ડૉક્ટરની કમાણીમાં પણ વધારો થાય છે. એક તો ડૉક્ટર પોતાનો ક્નસલ્ટન્ટ તરીકેનો ચાર્જ તો વસૂલે જ છે સાથે સાથે આ પ્રકારે પોતાને કમિશન ચૂકવતી હોય તેવી લેબોરેટરીમાં દર્દીને હડસેલીને ત્યાંથી પણ ટકાવારી પ્રમાણે રૂપિયા મેળવી લ્યે છે. આ રમતથી સરકાર બરાબર વાકેફ છે આમ છતાં કોઈનો પણ અંકુશ નથી.
દર્દી તો સાજું થઈ જાય છે, ટકાવારીના ખેલને કારણે પરિવાર બને છે પાયમાલ
ડૉક્ટર દ્વારા દર્દીને બકરો' સમજીને બેફામ ચાર્જની વસૂલાત તો કરવામાં આવે જ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એક તબક્કે દર્દી તો સાજું થઈ જાય છે પરંતુ ડૉક્ટર તેમજ દવા કંપની અને ડૉક્ટર તેમજ લેબોરેટરી વચ્ચેના સેટિંગને કારણે દર્દીની સારવારની બિલ ચૂકવનાર તેનો પરિવાર પાયમાલ થઈ જાય છે. આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે પરંતુ વ્હાઈટ કોલર માફિયાઓને સૌ
ભગવાન’ ગણતાં હોય તેમની કારીગરી ક્યારેય સામે આવી શકતી નથી.
અનેક મોટી હોસ્પિટલ ટેસ્ટની જરૂર ન હોવા છતાં પરાણે' ખીસ્સું ખંખેરાવે છે
શહેરમાં અત્યારે અનેક મોટી હોસ્પિટલ અત્યારે ધમધમી રહી છે જેમાં હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે જાય છે ત્યારે ઘણાખરા કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે દર્દીને ટેસ્ટની જરૂર ન હોવા છતાં પોતાનું ભરણું ભરવા માટે હોસ્પિટલમાં કાર્યરત તબીબો દ્વારા
પરાણે’ રિપોર્ટ કરાવવામાં આવે છે જેના કારણે દર્દી તેમજ તેના પરિવારનું ખીસ્સું ખંખેરાયા વગર રહેતું નથી.
પંચનાથ, કોઠારી સહિતની લેબોરેટરી પાસેથી શીખવું જોઈએ
શહેરમાં અત્યારે પંચનાથ, કોઠારી સહિતની ટ્રસ્ટ સંચાલિત લેબોરેટરી કાર્યરત છે જ્યાં અત્યંત રાહતભાવે રિપોર્ટ કરી આપવામાં આવે છે. અનેક તબીબો એવા છે જે અહીંની લેબમાં કરાવેલા રિપોર્ટને માન્ય રાખે છે જેના કારણે દર્દીને ઘણી જ રાહત મળતી હોય છે ત્યારે લૂંટફાટ કરવામાં સામેલ ખાનગી લેબોરેટરીઓએ આ પ્રકારની લેબ પાસેથી શીખવું જોઈએ અને દર્દીઓને કારણ વગર લૂંટવા ન જોઈએ તે આજના સમયની માંગ હોવાનું જાણકારો તેમજ પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.