કેશ ફોર વોટ : ભાજપ નેતા વિનોદ તાવડે પર 5 કરોડ વહેંચવાનો આરોપ
વિપક્ષ ચૂંટણી પંચ સામે આક્રમક : વિનોદ તાવડેએ આરોપો ફગાવ્યા : ચૂંટણી પંચે ૯.૫૩ લાખની રોકડ કબજે કરી, ત્રણ એફ.આઈ.આર. નોંધાવી
મહારાષ્ટ્રમાં બુધવારે મતદાન છે અને તે પૂર્વે એટલે કે મંગળવારે ભાજપના નેતા અને રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આરોપ લાગ્યો છે. વિનોદ તાવડેને નાલાસોપારા સ્થિત મુંબઈની હોટેલમાં વિપક્ષી પાર્ટી બહુજન વિકાસ અઘાડીના કાર્યકર્તાઓને ઘેરી લઈને આરોપ મુક્યો હતો કે વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા લઈને ત્યાં વહેંચવા આવ્યા હતાં. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, એક ડાયરી પણ મળી છે અને તેમાં જેને જેને પૈસા આપવામાં આવ્યા છે તેના નામ લખ્યા છે. વિનોદ તાવડે પાસેથી જોકે, તાવડેએ આ આરોપોને નકારી દીધા છે.
આ મામલે ચૂંટણી પંચે ફરિયાદ પણ દાખલ કરી છે. કુલ ત્રણ ગુના દાખલ થયા છે અને તેમાં બેમાં ભાજપના ઉમેદવારોના નામ છે. વિનોદ તાવડેનું નામ એક એફ.આઈ.આર.માં છે. સુત્રોએ કહ્યું હતું કે, ચૂંટણી પંચે કુલ ૯ લાખ ૫૩ હજાર ૯૦૦ રૂપિયા કબજે કર્યા છે.
તાવડેએ પોતાના બચાવમાં કહ્યું હતું કે, હું બુથ મેનેજમેન્ટના કામ માટે ત્યાં ગયો હતો. તેઓ તેમના કાર્યકરોને મતદાન કર્યા પછી ઈવીએમ કેવી રીતે સીલ કરવામાં આવે છે તે જણાવવા માટે બેઠકમાં આવ્યા હતા. આ દરમિયાન વિરોધ પક્ષના કાર્યકરોને લાગ્યું કે પૈસાની વહેંચણી થઈ રહી છે. હું 40 વર્ષથી પાર્ટીમાં છું. સત્ય બધા જાણે છે, પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. હોટલમાં સીસીટીવી ફૂટેજ છે. તપાસ થશે તો બધું સ્પષ્ટ થઈ જશે.
આ ઘટના પર ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ કહ્યું કે, જો વિપક્ષ પાસે કોઈ પૂરાવા છે તો ચૂંટણી પંચ પાસે જવું જોઈએ. ચૂંટણીના 24 કલાક પહેલાં નેતા પોતાનું બુથ મેનેજમેન્ટ જુએ છે. આવા ડ્રામા હારનારા નેતા કરે છે, જે હાલ નાલાસોપારામાં થઈ રહ્યો છે. આ હોટલમાં સંગઠનની બેઠક ચાલતી હતી.
આ તમામ હોબાળા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હું જ્યારે માતા તુલજા ભવાનીના દર્શન માટે આવી રહ્યો હતો, ત્યારે મારી બેગ ચૂંટણી પંચના અધિકારીઓએ ચેક કરી હતી. જો કે તેમને કંઈ મળ્યું નહીં. હવે ખબર પડી રહી છે કે, તાવડેની બેગમાંથી પૈસા મળી રહ્યા છે. હું માતા તુલજા ભવાનીને પ્રાર્થના કરૂં છું કે, આ ભ્રષ્ટ સરકારને રાજ્યમાંથી ખતમ કરવામાં આવે.
મોદીજી, આ પાંચ કરોડ કોની તિજોરીમાંથી નીકળા છે ? : રાહુલ ગાંધી
કેશ ફોર વોટના મામલે ભારે રાજકીય ગરમાવો આવ્યો છે અને રાહુલ ગાંધી પણ આક્રમક બન્યા છે. તેમણે નરેન્દ્ર મોદીને પૂછ્યું છે કે, મોદીજી, આ પાંચ કરોડ કોની તિજોરીમાંથી નીકળા છે ? પ્રજાના પૈસા લુંટીને તમને કોણે ટેમ્પોમાં મોકલ્યા ?