ગેરકાયદે બાંધકામના નળ-ગટર કનેક્શન કાપી નખાશે
ત્રણેય ઝોનની ૩૭ મિલકતોની લિસ્ટ તૈયાર: દિવાળી બાદ ઘાણવો કાઢશે મહાપાલિકા
રાજકોટનો કોઈ પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં નાનું-મોટું ગેરકાયદેસર બાંધકામ થયું ન હોય. મહાપાલિકા દ્વારા આવા બાંધકામોને નોટિસ ફટકારીને જ સંતોષ માની લેવામાં આવતો હોવાથી બાંધકામ કરનારા તત્ત્વોને ટેસડો પડી જવા પામ્યો હતો. જો કે ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાપાલિકાના સ્ટાફ તેમજ કામગીરીમાં ધરમૂળથી ફેરફારો થયા હોય હવે ગેરકાયદે બાંધકામને કોઈ પણ ભોગે દૂર કરવા માટે તંત્રએ કમર કસી લીધી છે. આવા ૩૭ ગેરકાયદે બાંધકામના નળ અને ગટર કનેક્શન કાપી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને દિવાળી બાદ આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આમ તો મહાપાલિકા દ્વારા અત્યાર સુધીમાં અનેક ગેરકાયદેસર બાંધકામને ૨૬૦(૨) પ્રમાણે નોટિસ ફટકારી દેવામાં આવી છે. આ કલમ હેઠળ નોટિસ આવે એટલે ડિમોલિશન નિશ્ચિત જ ગણાતું હોય છે આમ છતાં `છેડા’ના જોરે હજુ સુધી આવા બાંધકામોની કાંકરી પણ ખરી ન્હોતી. જો કે હવે આવું ચલાવી લેવાની જગ્યાએ ડિમોલિશન કરતાં પહેલાં ગેરકાયદે બાંધકામનો વપરાશ જ ન થઈ શકે તે માટે તંત્ર દ્વારા નળ અને ગટર કનેક્શન કાપી લેવાશે. ત્રણેય ઝોનમાં આવી ૩૭ મિલકતો અત્યારે મહાપાલિકાના ધ્યાન પર આવી છે જેના સામે ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.