કંગના રનૌત ઉવાચ: રાષ્ટ્રના પિતા નથી હોતા,રાષ્ટ્રના તો લાલ હોય છે
ગાંધી જયંતીએ જ ગાંધીજીનું અપમાન
ભાજપના મહિલા સાંસદ કંગના રનૌતે વધુ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી ભાજપને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધો હતો. બીજી ઓક્ટોબરે ગાંધીજી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી નિમિત્તે તેમણે’ રાષ્ટ્રના કોઈ પિતા નથી હોતા’ તેવો અભિપ્રાય વ્યક્ત કરતા તેના ઘેરા પડઘા પડ્યા છે.
અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી આ મહિલા સાંસદે instagram પર લખ્યું કે,” દેશના કોઈ પિતા નથી, દેશના તો લાલ હોય છે. ધન્ય છે ભારત માતાના લાલને’. તે પછી બીજી પોસ્ટમાં તેમણે સ્વચ્છતા અભિયાનના માધ્યમથી મહાત્મા ગાંધીજીની વિરાસતને આગળ ધપાવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
તેમની આ ટિપ્પણીની ભારે ટીકા થઈ હતી. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે ગાંધીજી ની જન્મ જયંતીએ જ ‘ અશ્લીલ હરકત ‘ કરવા બદલ કંગના રનૌતની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપિતા છે, રાષ્ટ્રના પુત્રો છે, શહીદો છે અને બધા આદરને પાત્ર છે પણ ગોડસેના ઉપાસકો ગાંધીજી અને શાસ્ત્રીજી વચ્ચે ભેદ પાડે છે. તેમણે પૂછ્યું કે શું નરેન્દ્ર મોદી તેમના પક્ષના નવા ગોડસે ભક્તને દિલથી માફ કરશે?
ભાજપના નેતાએ પણ માથું ફૂટ્યું
પંજાબ ભાજપના સિનિયર નેતા મનોરંજન કાલિયાએ કહ્યું કે કંગનાએ તેની ટૂંકી રાજકીય કારકિર્દીમાં વિવાદાસ્પદ નિવેદનો આપવાની આદત વિકસાવી છે. તેમના આવા નિવેદનોને કારણે ભાજપ મુશ્કેલીમાં મુકાય છે તેવી તેમણે ટીકા કરી હતી. નોંધનીય છે કે કંગના રનૌતે ત્રણ કૃષિ બિલ તથા કિસાન આંદોલન અંગે કરેલી ટિપ્પણીઓને કારણે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બેક ફૂટ પર મુકાઈ ગયો છે.