સરકારી કર્મીઓને દિવાળી પહેલા શું મળી શકે છે ગિફ્ટ ? જુઓ
કેન્દ્ર સરકાર દિવાળી પહેલા કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનરોને રાજી કરી શકે છે અને દિવાળી ગિફ્ટ આપી શકે છે. કર્મીઓના મોંઘવારી ભથ્થામાં ટૂક સમયમાં જ 3 થી 4 ટકાનો વધારો જાહેર થવાની શક્યતા છે. આમ મોંઘવારીના દિવસોમાં બધાની દિવાળી સુધરી જવાના સંકેત છે.
કેન્દ્ર સરકારના કર્મીઓ, જાહેર સેક્ટરના કર્મીઓ અને પેન્શનરોને સરકાર આ ભથ્થું આપે છે અને દેશમાં વર્તમાન મોંઘવારી અનુસાર ભથ્થું નક્કી કરવામાં આવે છે. આ માટેનું કેલ્ક્યુલેશન દર 6 મહિને કરવામાં આવે છે. જેની ગણતરી સંબંધિત વેતન માપદંડના આધાર પર કર્મીઓના મૂળ વેતન અનુસાર કરાય છે.
જો કે મોંઘવારી ભથ્થું શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ ક્ષેત્રના કર્મીઓનું અલગ અલગ હોય છે. હવે દિવાળી પહેલા જ આ માટેની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડીએ સાથે ડીઆરમાં પણ વધારો થઈ શકે છે. સરકારી કર્મીઓને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અપાય છે અને પેન્શનરોને ડીઆર એટલે કે મોંઘવારી રાહત અપાય છે.
બંને ભથ્થાઓ વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં સંશોધિત કરવામાં આવે છે. વર્તમાનમાં 1 કરોડથી વધુ સરકારી કર્મીઓ અને પેન્શનરો 50 ટકા ડીએનો લાભ મેળવી રહ્યા છે. વર્ષના પ્રારંભે જ સરકારે ડીએ અને ડીઆર બંનેમાં 4 ટકાનો વધારો લાગુ કર્યો હતો. આમ સરકારી કર્મીઓ અને પેન્શનરો મોંઘવારી સામે લડી શકે છે.