ગોંડલના ધારાસભ્યએ ખોટું સોગંદનામું કરવા મામલે ફરી તપાસના આદેશ
અગાઉ માર્ચ 2024માં કરેલી ફરિયાદમાં તપાસ ન કરવામાં આવતા વધુ એક અરજી બાદ તપાસ કરવા આદેશ
ગત વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ખોટું સોગંદનામું કર્યું હોવાની ફરિયાદ યતિશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યા બાદ પણ તપાસ ન થતાં વધુ એક અરજી કરવામાં આવતા ચૂંટણીપંચ દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના ચૂંટણી સોગંદનામા સામે એડવોકેટ યતિષ દેસાઈએ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ માર્ચ-2024માં ફરિયાદ કરી હતી. આ મામલે ફરિયાદી યતિષ દેસાઈએ જણાવ્યું હતું કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા છે. તેમણે ધારાસભ્યને મળતા પગાર અને ભથ્થા લીધા છે. પરંતુ ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કરેલા સોગંદનામા મુજબ જયરાજસિંહ જાડેજા ઈન્કમટેક્ષ ભરતા નથી. તેમની આવકનો સ્ત્રોત ખેતી બતાવ્યો છે. જે ખોટું છે. કારણ કે તેમણે ધારાસભ્યને મળતો પગાર લીધો છે.જો કે, લોકસભા ચૂંટણી સમયે આ ફરિયાદ મામલે પંચે તપાસના આદેશ આપવા છતાં તપાસ કરવામાં આવી ન હતી.
ઉલ્લેખનીય છે કે, ખોટા સોગંદનામા મામલે તપાસ માટેની આ અરજીમાં યતિષ દેસાઈએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્યને મળતો પગાર ઈન્કમટેક્ષ ભરવાને પાત્ર છે તો તેમણે અત્યાર સુધીના કોઈપણ રીટર્ન ભર્યા નથી? ધારાસભ્ય ગીતાબાએ પણ ડિસેમ્બર 2017થી ધારાસભ્ય છે અને તેમણે પણ પગાર અને ભથ્થાઓ લીધો છે.ફરિયાદમાં જણાવાયા પ્રમાણે, નાણાકીય વર્ષ 2017-18ની વિગતમાં તેમણે નીલ લખેલું છે. તેમને પાર્ટ-એમાં લખેલુ છે કે તેમણે રીટર્ન ભર્યું છે. સને 2021-22ની સાલની આવક રૂા.11,58,544 અને પાર્ટ-બીમાં લખેલું છે કે તેમની આવક નીલ છે, જે પોતાના જ સોગંદનામાની વિરૂધ્ધ હોવાનું જણાવાયું છે. બીજી તરફ યતિષ દેસાઈ દ્વારા ચૂંટણીપંચને જૂન -2024માં વધુ એક ફરિયાદ કરવામાં આવતા ચૂંટણીપંચ દ્વારા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરને તપાસનો આદેશ કરવામાં આવ્યો છે.