રાજકોટના 27 પૈકી 11 જળાશયો છલોછલ
જિલ્લાના જળાશયોમાં 97.51 ટકા જળસંગ્રહ : ડોંડી, ઘેલો સોમનાથ અને માલગઢ જળાશય હજુ ખાલી
રાજકોટ : રાજકોટ જિલ્લામાં વરસાદની ખાધ વચ્ચે જન્માષ્ટમીના તહેવારોમાં ધોધમાર વરસેલા વરસાદે ચોમાસાનું ચિત્ર જ બદલી નાખી ત્રણ દિવસમાં 32 ઈંચથી વધુ વરસાદ વરસાવી દેતા હાલમાં રાજકોટ જિલ્લામાં આવેલા 27 પૈકી 21 જળાશયો 100 ટકા ભરાયેલા છે અને માત્ર ત્રણ જળાશયો જ વધુ પ્રમાણમાં ખાલી હોવા છતાં જિલ્લાના જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 97.51 ટકા જળરાશી સંગ્રહિત થઇ છે.
રાજકોટ સિંચાઈ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં પીવાના પાણી તેમજ સિંચાઈ માટે કુલ 27 જળાશયો આવેલા છે જે પૈકી 21 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે જેમાં ભાદર, મોજ, ફોફળ,વેણુ-2, આજી-1, આજી-3, સોડવદર, સુરવો, ગોંડલી, વાછપરી, વેરી, ન્યારી-2, મોતીસરી, ફાળદંગ બેટી, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી-1, છાપરવાડી-2, ઈશ્વરીયા, કરમાળ, કર્નુકી ડેમ 100 ટકા ભરાયેલ છે.
જો કે, રાજકોટ જિલ્લાનો આજી-2, ડોંડી, ન્યારી-1, ભાદર-2, ઘેલો સોમનાથ અને માલગઢ જળાશય હજુ ખાલી છે. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં કુલ મળી 21089 ક્યુસેક મીટર જળરાશી સંગ્રહિત થયેલ છે અને કુલ મળી 97.51 ટકા જળરાશી સંગ્રહિત હોવાનું સિંચાઈ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.