વંથલી-શાપુર રોડ પર કાર અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત : 3ના મોત
રોંગ સાઈડમાં આવતી રિક્ષા કાર સાથે અથડાતાં રિક્ષામાં બેઠેલા ત્રણનું પ્રાણ પંખેરુ ઊડી ગયું : રાજકોટનો પરિવાર કારમાં સોમનાથથી રાજકોટ પરત ફરતો’તો
જુનાગઢ પાસે વંથલી અને શાપુર રોડ પર કાર અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.અને આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.જ્યારે કારમાં બેઠેલા ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.
બનાવની મળતી માહિતી મુજબ વંથલી પાસેના શાપુર ગામે રહેતા સમીર અલી પલેજા, પ્રવિણ દેવશી મકવાણા અને રમણીક બોઘા નામના ત્રણ લોકો રિક્ષામાં બેસીને જુનાગઢથી શાપુર આવી રહ્યા હતા.ત્યારે રિક્ષા ચાલકે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે રિક્ષા ચલાવી રહ્યો હતો. તે સમયે સામેથી જીજે.03.એન.કે.6785 નંબરની આવતી ટાટા કંપનીની કારે ઠોકર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.અને આ અકસ્માતમાં ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા.જ્યારે કારમાં બેઠેલા રાજકોટના પરિવારના ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં જ વંથલી પોલીસના પીએસઆઇ વાય.બી.રાણા અને તેમની ટીમ દોડી આવી હતી.અને મૃતદેહને પીએમ માટે તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડીને રોડ પરનો ટ્રાફિક ક્લિયર કર્યો હતો.તપાસમાં જાણવા મળ્યું હતું કે,રાજકોટનો પરિવાર કારમાં સોમનાથથી રાજકોટ પરત ફરી રહ્યો હતો.અને મૃતક યુવક જુનાગઢ કામ સબબ ગયા બાદ રિક્ષામાં શાપુર ગામે પરત આવતા હતા ત્યારે તેમનું પ્રાણ પંખેરુ ઊડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, તહેવારોમાં રજાનો સમય ચાલી રહ્યો છે ત્યારે અલગ અલગ શહેરોમાંથી રજાની મજા માણવા લોકો સોમનાથ દીવ તરફ જતા હોય છે.જેથી અકસ્માતની ભીતિ વધી છે.