કોલકત્તા ઈફેક્ટ: રાજકોટની ૫૦૦ હોસ્પિટલો કાલે સવારે ૬ સુધી બંધ
૨૫૦૦થી વધુ ડૉક્ટરો ઓપીડી-ઓપરેશન સહિતની કામગીરીથી રહેશે અળગા: માત્ર ઈમરજન્સી કેસ જ હાથ પર લેવાશે
આ ઘટના ડૉક્ટર જ નહીં બલ્કે કોઈ પણ સ્ત્રી સાથે ન બનવી જોઈએ: આઈએમએ-રાજકોટ
કોલકત્તામાં ડૉક્ટર પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની કરપીણ હત્યા કરી નાખવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આખા દેશમાં પડી રહ્યા છે. સરકારી તબીબો શુક્રવારથી જ હડતાલ પર ઉતરી ગયા છે ત્યારે હવે તેમાં ખાનગી હોસ્પિટલો પણ જોડાઈ છે. રાજકોટની વાત કરવામાં આવે તો આજે સવારે ૬ વાગ્યાથી આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધી ખાનગી હોસ્પિટલો બંધ રાખવાનું એલાન ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-રાજકોટ દ્વારા આપવામાં આવ્યું છે.
આ અંગે આઈએમએ-ગુજરાતના પ્રમુખ ડૉ.ભરત કાકડિયાએ જણાવ્યું કે રાજકોટમાં અત્યારે નાની-મોટી મળી ૪૦૦થી ૫૦૦ જેટલી હોસ્પિટલો કાર્યરત છે જેમાં ૨૫૦૦ ડૉક્ટરો ફરજ બજાવી રહ્યા છે. કોલકત્તાની ઘટના એકદમ દુ:ખદ અને હચમચાવી નાખનારી હોવાને કારણે આવી ઘટના ડૉક્ટર જ નહીં બલ્કે કોઈ પણ સ્ત્રી સાથે ન બને તે માટે સરકારી હોસ્પિટલની સાથે જ હવે ખાનગી હોસ્પિટલો પણ હડતાલમાં જોડાઈ રહી છે.
એકંદરે આજે સવારે ૬થી કાલે સવારે ૬ વાગ્યા સુધી શહેરની એક પણ ખાનગી હોસ્પિટલમાં ઓપીડી કે ઓપરેશન સહિતની સારવાર કરવામાં આવશે નહીં. દરેક હોસ્પિટલમાં માત્રને માત્ર ઈમરજન્સી કેસ જ હાથ ઉપર લેવામાં આવશે. આ દરમિયાન કોઈ દર્દીને હાલાકી ન પડે તે માટે વહેલાસર તેમને જાણ કરી દેવામાં આવી છે.
