MSME સમાધાન પંચમાં 2 કરોડથી વધુના 81 કેસોનો નિકાલ
અધિક નિવાસી કલેકટર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કેમ્પ યોજી 109 કેસની સુનાવણી હાથ ધરી : 79 કેસમાં સમાધાન, 2 કેસમાં આંશિક સમાધાન
રાજકોટ : વેપાર-ઉદ્યોગમાં રૂ.50 લાખ કે તેથી નીચેની બાકી વસૂલાત પૂરી થાય તે માટે એમએસએમઈ સમાધાન યોજના અન્વયે રાજકોટ અધિક નિવાસી કલેકટરના વડપણ વાળી કમિટી દ્વારા શનિવારે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે 109 કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા કુલ 81 કેસમાં સમાધાન થયું હતું જયારે 3 કેસમાં કોર્ટ મેટર હોવાથી પડતા મુકવામાં આવ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા વેપાર અને ઉદ્યોગના બાકી નાણાંની વસુલાત માટે સૌરાષ્ટ્રના એમએસએમઈ કેસ માટે રાજકોટના નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધીની અધ્યક્ષતામાં ખાસ કમિટી બનાવી છે ત્યારે આ કમિટી દ્વારા રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક સાથે 109 કેસની સુનાવણી રાખવામાં આવી હતી જેમાં રૂપિયા 2,01,34,475ના બાકી વસૂલાતના 79 કેસમાં અરસ પરસ સમજુતીથી સમાધાન થયું હતું, જયારે અન્ય 2 કેસમાં રૂપિયા 3,51,408ની સમાધાન રાશિ મુજબ આંશિક સમાધાન સધાયું હતું.
વધુમાં અધિક જિલ્લા કલેકટર દ્વારા આ સાથે કુલ 30 કેસની સુનાવણી રાખવામાં આવી હતી જેમાં ડીઆઈસીના કે.વી.મોરી, રાજકોટ એલડીએમ કે.બિસ્વાલ, એમેસીએફસીના કૃણાલ મકવાણા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી નૌતમ બારસીયા અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝનાએકઝ્યુકેટીવ ડાયરેક્ટર નરેશભાઈ શેઠ હાજર રહ્યા હતા અને હવે પછી આગામી તા.27 જુલાઈના રોજ અન્ય કેસોની સુનાવણી રાખવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.