હવે લક્ષ્મીનગરની આવાસ યોજનાનો ‘વારો’ લેતી મનપા
૨૫ વર્ષ પહેલાં ૧૫૬ ક્વાર્ટરની યોજનાનું રિનોવેશન નહીં કરાતાં ખખડી ગઈ હોવાથી ૧૨ જેટલા નળ-વીજ કનેક્શન કટ કરતાં જ હોબાળો
તાજેતરમાં જ દૂધસાગર રોડ ઉપર હાઉસિંગ બોર્ડની આવાસ યોજનાના ક્વાર્ટર એકદમ ખખડધજ થઈ ગયા હોવાને કારણે નળ અને વીજ કનેક્શન કટ કરી નાખ્યા હતા. આ ક્વાર્ટર હાઉસિંગ બોર્ડે બનાવ્યા હતા પરંતુ હવે મહાપાલિકાએ પોતાની આવાસ યોજના ઉપર પણ ધ્યાન દોડાવ્યું છે. નાનામવા રોડ પર પીજીવીસીએલ કચેરી પાસે ૨૫ વર્ષ પહેલાં મહાપાલિકાએ બનાવેલી આવાસ યોજનાના ૧૫૬ ક્વાર્ટર ખખડી ગયા હોવા છતાં તેને રિપેરિંગ નહીં કરાવાતાં મનપાએ ૧૨ જેટલા ક્વાર્ટરના નળ અને વીજ કનેક્શન કટ કરી નાખતાં હોબાળો મચી જવા પામ્યો છે.
આ કાર્યવાહી કરાતાં જ ક્વાર્ટર ધારકોનું ટોળું મનપા કચેરીએ ધસી આવીને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યા પ્રમાણે તેઓ તો રિપેરિંગ કરાવવા માંગે જ છે પરંતુ મનપા દ્વારા કોઈ પણ બિલ્ડિંગને લગતું કામ સમયસર કરી આપવામાં આવતું નથી ! રિપેરિંગના નામે નળ-કનેક્શન, વીજ કનેક્શન કાપવું વ્યાજબી નથી. જો આમ થશે તો અમે રિપેરિંગ કેમ કરાવશું ? અત્યારે ચોમાસું ચાલી રહ્યું હોવાથી રિપેરિંગ શક્ય ન હોવાથી ૯૦ દિવસનો સમય આપવા માંગ કરી હતી.
જો કે મ્યુનિ.કમિશનરનો કડક આદેશ હોવાને કારણે કપાયેલા નળ કે વીજ જોડાણ પરત આપવામાં આવે તેવી શક્યતા ઓછી હોવાથી ૧૨ ક્વાર્ટર ધારકોને રઝળપાટ થઈ જશે તે વાત નિશ્ચિત છે.