રાજકોટમાં ૪૦ માળનાં બિલ્ડિંગ બનશે
જૂના એરપોર્ટના NOCમાંથી મુક્તિ
૧૦૦ થી ૧૫૦ મીટર ઊંચી ગગનચૂંબી ઇમારતોનો માર્ગ મોકળો
જૂનું એરપોર્ટ બંધ થવા છતાં બિલ્ડરોને નવા અને જૂના બન્ને એરપોર્ટની મંજૂરી લેવી પડતી
સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટનો ચોતરફથી થઇ રહેલો વિકાસ હવે આભને આંબશે, ભારત સરકારના હવાઈ ઉડયન વિભાગે શહેરની મધ્યમાં આવેલા જુના એરપોર્ટ ઉપરથી વિમાનોનું સંચાલન બંધ થતા ઉંચા બિલ્ડીંગો બાંધવાની મંજૂરી પ્રક્રિયામાંથી જુના એરપોર્ટની એનઓસી લેવામાંથી બિલ્ડરોને મુક્તિ આપી છે. આ બાબતે સરકારે ગેજેટમાં પ્રસિદ્ધ કરતા જ રાજકોટની બિલ્ડર લોબીમાં હર્ષની લાગણી છવાઈ છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મલ્યા બાદ બિલ્ડરને હાઈરાઈઝ બિલ્ડિગના બાંધકામ માટે જુના એરપોર્ટની એનઓસીમાંથી મુક્તિ મળવાની આશા હતી પરંતુ નવું એરપોર્ટ કાર્યરત થવા છતાં પણ વહીવટીતંત્ર દ્વારા બિલ્ડીંગ પરમિશન માટે જુના અને નવા બન્ને એરપોર્ટની મંજૂરી લેવી પડતી હોવાથી આ બાબતે રાજકોટ બિલ્ડર એસોશિએશન તેમજ ક્રેડાઈ દ્વારા અવારનવાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન રાજકોટ બિલ્ડર એસોસિએશન પ્રમુખ પરેશભાઈ ગજેરાએ `વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારમાં વારંવારની રજુઆત બાદ સરકારે ગેજેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ કરી હવેથી જુના એરપોર્ટમાં વિમાન સંચાલન બંધ થયું હોય બિલ્ડીંગ પરમિશન માટે જુના એરપોર્ટની એનઓસીમાંથી મુક્તિ આપી છે જેને પગલે હવે રાજકોટમાં ૧૦૦થી ૧૫૦ મીટર ઊંચાઈ વાળા ૪૦ માલ સુધીના બાંધકામ પ્રોજેક્ટને મંજૂરી મળી શકશે.
વધુમાં પરેશભાઈ ગજેરાએ ઉમેર્યું હતું કે, રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ શહેરથી ૩૦થી ૩૫ કિલોમીટર દૂર હોવાથી બિલ્ડીંગ પરમિશન માટે નવા એરપોર્ટની એનઓસી દૂર કરવા મામલે પણ બિલ્ડર એસોસિએશન દ્વારા સરકારને રજુઆત કરવામાં આવનાર હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, હાલમાં જુના એરપોર્ટની એનઓસીમાંથી મુક્તિ મળતા જુના એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગો બાંધકામને છૂટ મળતા હવે શહેરના વિકાસ માટેના નવા દ્વાર ખુલશે તેમ જણાવ્યું હતું.