ફાયર NOC છે કે નહીં ? હવે પોલીસ પણ ચેકિંગ કરશે !
સ્કૂલ-કોલેજ-ટ્યુશન ક્લાસીસ, હોટેલ-રેસ્ટોરન્ટ, ગેમઝોન, હોસ્પિટલ સહિતના સ્થળે ચેકિંગ કરવા માટે દરેક પોલીસ સ્ટેશન વાઈઝ એક ટીમ બનાવાઈ
એક ટીમ મહાપાલિકા સાથે સીલિંગ ઝુંબેશમાં રહેશે: ફાયર એનઓસી ઉપરાંત ખાણીપીણીનું લાયસન્સ સહિતનું ચેકિંગ કરી રિપોર્ટ તૈયાર કરાશે
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકા દ્વારા ફાયર સેફ્ટીને લઈને સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને બિલ્ડિંગ કે જે ફાયર એનઓસી, બીયુ પરમીશન સહિતના નિયમોના દાયરામાં આવે છે ત્યાં ચેકિંગ કરીને સીલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ કાર્યવાહીમાં પોલીસને પણ જોતરી દેવામાં આવી છે. સરળ શબ્દોમાં કહીયે તો ફાયર એનઓસી છે કે નહીં તેનું ચેકિંગ પોલીસ પણ કરશે.
અત્યાર સુધી મહાપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું પરંતુ ૯ જૂનથી આ માટે દરેક પોલીસ સ્ટેશનવાઈઝ એક-એક ટીમ બનાવાઈ છે. આ ટીમ દ્વારા ગેરકાયદેસર ચાલતી રેસ્ટોરન્ટ, ભોજનની સામગ્રીનું આડેધડ વેચાણ કરતી નાની-નાની દુકાનો, રહેણા વિસ્તારોમાં બાળકોના આરોગ્યને હાની પહોંચાડેતે પ્રકારે બનેલી શાળાઓ, હોસ્પિટલો, સ્કૂલ-કોલેજ-કોચિંગ એકેડેમી, હોટેલો, ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, લોકમેળા, મુખ્ય મંદિર, પેટ્રોલ પંપ, ધર્મશાળાઓ, કારખાનાઓ-કંપનીઓ સહિતના સ્થળો કે જ્યાં લોકોની અવર-જવર વધુ રહેતી હોય ત્યાં ચેકિંગ કરી તમામ લાયસન્સ, ડોક્યુમેન્ટ, ફાયર સેફટી સાધનો, ફાયર એનઓસી, સેફ્ટીના અન્ય સાધનો, જરૂરી તમામ લાયસન્સ-એનઓસીનું ચેકિંગ કરીને કાર્યવાહી કરવાની રહેશે.
આ પ્રકારનો આદેશ દરેક પોલીસ મથકને આપવામાં આવ્યો છે. અત્યારે દરેક પોલીસ સ્ટેશનની એક ટીમ મહાપાલિકા સાથે સીલિંગ ઝુંબેશમાં સાથે જોડાય છે જ્યારે વધુ એક ટીમ બનાવીને આ અંગેનું ચેકિંગ કરશે. ઉદાહરણ તરીકે કોઈ સંકુલ પાસે ફાયર એનઓસી ન હોય તો પોલીસ દ્વારા ત્યાં ચેકિંગ કરીને તેની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ સંકુલ પાસે બીયુ સહિતના પૂરાવા ન હોય તો તે અંગેની જાણ ટાઉન પ્લાનિંગ વિભાગને કરવામાં આવશે. આ અંગેનો પરિપત્ર પ્રસિદ્ધ થયા બાદ મંગળવારે પ્રથમ તબક્કાની કામગીરીનો રિપોર્ટ પણ તૈયાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ દ્વારા આ કાર્યવાહી પહેલી વખત કરાશે: ડીસીપી બાંગરવા
દરમિયાન આ અંગે ડીસીપી જગદીશ બાંગરવાએ `વોઈસ ઓફ ડે’ને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ફાયર એનઓસી ચેકિંગ સહિતની કાર્યવાહી પહેલી વખત કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી બન્ને ઝોનના દરેક પોલીસ મથકે કરવાની રહેશે. ચેકિંગ દરમિયાન પોલીસના ધ્યાને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવશે તો તેની સામે ગુનો પણ નોંધવામાં આવશે. આ ઉપરાંત ફાયર એનઓસી કે બીયુ સર્ટિફિકેટ ન હોય તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં નહીં આવે પરંતુ તેની જાણ મહાપાલિકાના લગત વિભાગને કરવામાં આવશે. આ અંગેનો પરિપત્ર ૯ જૂને તમામ પોલીસ મથકને રવાના કરી દેવાયો હતો અને ૧૧ જૂન સુધીમાં દરેક પોલીસ મથકે કરેલી કામગીરીનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે.