બામણબોર પંથકમાં બેફામ ખનીજચોરી : કોંગ્રેસનો આરોપ
વર્ષ 2018થી બેફામપણે કરાતી ખનીજચોરી : ગુગલમેપના આધારે તપાસ કરવા માંગ
રાજકોટ : રાજકોટ જિલ્લાના બામણબોર પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવા છતાં ખાણ ખનીજ વિભાગ, વિજિલન્સ સ્ક્વોડ અને ફ્લાઈંગ સ્ક્વોડ અજાણ બની ગઈ હોવાનો આરોપ લગાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી વર્ષ 2028થી અત્યાર સુધીમાં કેટલી ખનીજ સંપદાની ચોરી થઇ છે તેની તપાસ કરવા માંગ ઉઠાવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનોએ જિલ્લા કલેકટર પ્રભવ જોશીને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, બામણબોર પંથકમાં માયનોર ફોરેસ્ટ વિસ્તાર સહિતના વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા મહિનાઓ સુધી આધુનિક મશીનરીનો ઉપયોગ કરી બેફામપણે ખનીજ ચોરી કરી તેમ છતાં રાજકોટનું ખાણ ખનીજ તંત્ર નિદ્રામાં સૂતું રહ્યું છે, આ ગંભીર બાબતે આખા વિસ્તારને સીલ કરી ખનીજચોરીનું મૂલ્યાંકન કરી ખનીજ ચોરીનો આંકડો જાહેર કરવા માંગ કરી છે.
બીજી તરફ આ વિસ્તારમાં ફરજ બજાવતા ખાણ ખનીજ વિભાગના અધિકારી કર્મચારીઓ અને વિજિલન્સ સ્ક્વોડ અને ફ્લાઈંગ સ્ક્વોડ પણ ફરજ પ્રત્યે બેદરકાર રહી હોવાનો આરોપ લગાવી વર્ષ 2018થી લઈ આજદિન સુધી વર્ષ વાઈઝ ગુગલમેપના આધારે બામણબોર વિસ્તારમાં થયેલી ખનીજ ચોરીનો આંકડો મેળવી જવાબદાર મામલતદાર, સર્કલ ઓફિસર અને તલાટીની જવાબદારી નક્કી કરી કસુરવાનો સામે તપાસ કરવામાં આવે તેવી માંગ અંતમાં કરી હતી.