સાબરકાંઠા : ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત
રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સાબરકાંઠામાં સામે આવી છે જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે ત્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના સાબરકાંઠાના ઇડર-હિંમતનગર હાઇવે પરની છે જ્યાં મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પથ્થર ભરેલા એક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો . આ પરિવાર મુંબઈથી પોતાના વતન નેત્રામલી ખાતે આવ્યો હતો. આ પરિવાર નેત્રામલીથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાતા પરિવારના 4 સભ્યોના મોત નીપજ્ય છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતકોના મૃતદેહ ને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોમાં એક ડૉક્ટરના પરિવારના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક પરિવારના ૪ સભ્યોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે રોડ સમારકામની કામગીરીને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં આ જ રોડ પર 5 અકસ્માત થયા છે ત્યારે ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.