વાવડીમાં 50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવતા તાલુકા મામલતદાર
40થી 50 જેટલા મકાન, ઝુંપડા હોટેલ, ગેરેજ અને ઈંડાની લારીના દબાણોનો કડૂસલો
રાજકોટ : રાજકોટનું જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી કામગીરીમાંથી મુક્ત થતા જ ઓપરેશન ડિમોલિશન શરૂ કર્યું છે, જિલ્લા કલેકટરની સૂચના બાદ ગુરુવારે રાજકોટ તાલુકા મામલતદારે વાવડીની સરકારી રેવન્યુ સર્વે નંબર 149ની ચાર એકર જેટલી જમીન ઉપર ઉભા થઇ ગયેલા 40થી 50 જેટલા મકાન, ઝુંપડા હોટેલ, ગેરેજ અને ઈંડાની લારીના દબાણોનો કડૂસલો બોલાવી દબાણ હટાવ્યા હતા. સાથે જ આજે શુક્રવારે કોઠારીયા વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તમામ મામલતદારોને સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણો હટાવવા માટે તાકીદ કરતા રાજકોટ તાલુકા મામલતદાર કે.એમ.મકવાણા દ્વારા કોઠારીયા અને વાવડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ ઉભા કરી લેનારા 100 જેટલા આસામીઓને નોટિસો ફટકારી હતી. બાદમાં આચાર સંહિતા હટતાની સાથે જ ગુરુવારે રાજકોટ તાલુકા મામલતદાર કે.એમ. મકવાણા, સર્કલ કથીરિયા, નાયબ મામલતદાર રઘુભા વાઘેલા, કર્મરાજસિંહ જાડેજા, તલાટી સાગર ચાવડા તલાટી સહિતની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે વાવડીમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું હતું.
વધુમાં તાલુકા મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવેલ દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન વાવડી ગામની સરકારી સર્વે નંબર 149ની ચાર એકર એટલે કે 16000 ચોમી જમીન ઉપર બનાવી લેવામાં આવેલા 40થી 50 મકાન, ઝુંપડા, હોટલ, ગેરેજ, તેમજ ઇંડાની લારી સહિતના દબાણો હટાવી અંદાજે 50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.સાથે જ આજે શુક્રવારે કોઠારીયા 15થી 20 મકાન, ઝુંપડા, કારખાનાના દબાણ હટાવી 16 હજાર ચોમી જગ્યા કરવા માટે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું તંત્રએ જાહેર કર્યું હતું.