કેજરીવાલને શું લાગ્યો ઝટકો ? જુઓ
દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શનિવારે આંચકો લાગ્યો હતો. . રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને શનિવારે સાત દિવસની વચગાળાની જામીનની મુદત વધારવાની તેમની અરજી પર કોઈ રાહત આપી ન હતી. કોર્ટ વચગાળાના જામીન અંગેની આગામી સુનાવણી 5મી જૂને હાથ ધરશે. આમ હવે કેજરીવાલે આજે સરેન્ડર કરવું પડશે.
ઇડીએ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે તથ્યો છુપાવ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય સહિત ઘણા મુદ્દાઓ પર ખોટા નિવેદનો આપ્યા હતા. આના જવાબમાં કેજરીવાલના વકીલે કહ્યું કે તે બીમાર છે અને સારવારની જરૂર છે.
કોણે શું દલીલ આપી?
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ મેડિકલ ટેસ્ટ કરાવવાને બદલે સતત રેલીઓ કરી રહ્યા છે. મતલબ કે કેજરીવાલનો સાત કિલો વજન ઘટાડવાનો દાવો ખોટો છે. તુષાર મહેતાએ વધુમાં દાવો કર્યો કે કેજરીવાલનું વજન એક કિલો વધી ગયું છે.
અરવિંદ કેજરીવાલે કયા આધારે અરજી દાખલ કરી?
કેજરીવાલે વચગાળાના જામીનની મુદ્દત વધારવાની માંગ કરતા કહ્યું કે અચાનક અને ન સમજાય તેવા વજનમાં ઘટાડો તેમજ કીટોનના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખીને સીટી સ્કેન સહિત અનેક મેડિકલ ટેસ્ટ કરાવવા પડશે. આવી સ્થિતિમાં જામીનનો સમયગાળો સાત દિવસ લંબાવવો જોઈએ.