અંતિમ રેલીમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
કોના પર મોટો હુમલો કર્યો ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભાની ચુંટણી માટેનો મેરેથોન પ્રચાર સમાપ્ત કરીને પંજાબના હોશિયારપુરમાં અંતિમ રેલીને સંબોધન કર્યું હતું. ત્યારબાદ નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ કન્યાકુમારી પહોંચી ગયા હતા અને અહીં તેઓ ધ્યાનમગ્ન થયા હતા.
તેમણે રામલીલા ગ્રાઉન્ડ ખાતે ઈન્ડિયા ગઠબંધન પર જોરદાર પ્રહારો કર્યા હતા. મોદીએ વિપક્ષ અંગે કહ્યું કે હું અત્યારે ચુપ બેઠો છું, જે દિવસે મોદી મોઢું ખોલશે તે દિવસે તમારી સાત પેઢીનો હિસાબ બહાર લાવીને મૂકી દેશે. વડાપ્રધાને કહ્યું હતું કે
ઈન્ડિયા ગઠબંધનના લોકો તેમના પર અવનવા અપશબ્દોનો ઉપયોગ કરે છે. કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં ડબલ પીએચડી કર્યું છે. હવે તેમાં આમ આદમી પાર્ટી પણ જોડાઈ ગઈ છે.
મોદીએ કહ્યું કે કોંગ્રેસને ભ્રષ્ટાચાર કરવામાં 70 વર્ષ લાગ્યા પરંતુ આપવાળા તમે ભ્રષ્ટ જન્મ્યા છો. ચૂંટણીમાં એમણે ડ્રગ્સ પર ભાષણ આપીને પંજાબને બદનામ કર્યું અને સરકાર બનતાની સાથે જ તેણે પૈસા કમાવવામાં ડ્રગ્સને પોતાનો ભાગીદાર બનાવ્યો. પંજાબમાં ખેતી અને ઉદ્યોગ બરબાદ થઈ ગયા. તેઓ મહિલા અત્યાચારમાં પણ મોખરે છે.
સેનાનું અપમાન સહન નથી
એમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન નાયકોનું અપમાન કરે છે. તેમણે જનરલ બિપિન રાવતને ગલીનો ગુંડો ગણાવ્યો હતો. આ સેનાનું અપમાન હતું. કોંગ્રેસના શાસનમાં સેનાને નબળી કરવામાં કોઈ કસર બાકી ન હતી. તેજસ ફાઈટર પ્લેનનો પ્રોજેક્ટ અટકાવી દેવામાં આવ્યો હતો. અમારી સરકારે વન રેન્ક વન પેન્શન માટે 1.25 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા. અમારો ઉદ્દેશ્ય ભારતીય સેનાને સૌથી આધુનિક બનાવવાનો છે.
મોદીએ કહ્યું કે સેના 26 જાન્યુઆરીની પરેડ માટે નહીં પરંતુ દુશ્મનો સામે લડવા માટે તૈયાર છે. મારી સાથે દુર્વ્યવહાર કરો પરંતુ હું કોઈ પણ સંજોગોમાં દેશની સેનાનું અપમાન સહન નહીં કરું. એમણે કહ્યું હતું કે નવી સરકાર બનતા જ પ્રથમ 25 દિવસ યુવા માટે કામ કરાશે.
રેલીમાં મોદીએ મોટી જાહેરાત કરી કે આદમપુર એરપોર્ટનું નામ ગુરુ રવિદાસના નામ પર રાખવામાં આવશે. તેમણે હોશિયારપુરથી બીજેપી ઉમેદવાર અનિતા સોમપ્રકાશ અને આનંદપુર સાહિબથી સુભાષ શર્માને વોટ આપવાની અપીલ કરી હતી.