TRP અગ્નિકાંડ મામલે સૂઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટની મહાપાલિકાને ફટકાર
સરકારને પણ લગાવી ફટકાર: મીડિયાના અહેવાલોની બધા ઉપર અસર થાય છે પણ સરકાર તો તેને પણ ગણકારતી નથી
ચાર વર્ષમાં છ મોટી દૂર્ઘટના થઈ પણ રાજકોટ સહિતની મનપાઓએ શું કર્યું ?
રાજકોટ મનપા ત્રણ વર્ષ સુધી શું કરી રહી હતી ? ગેઈમ ઝોનના ઉદ્ઘાટનમાં મ્યુનિ.કમિશનર જાય તે કેટલું વ્યાજબી ?
મનપા-પોલીસે ધ્યાન રાખ્યું હોત તો આ દૂર્ઘટના બની જ ન હોત: ૬ જૂને વધુ સુનાવણી થશે
રાજકોટના ઈતિહાસ માટે અત્યંત કલંકરૂપ, હૃદવદ્રાવક કહી શકાય તેવી અગ્નિકાંડની ઘટના લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. પોલીસ હોય કે મનપા, માર્ગ-મકાન વિભાગ હોય કે પીજીવીસીએલ…તમામ તંત્રની શરમજનક આળસને કારણે જ આ દૂર્ઘટના આકાર લઈ જવા પામી છે ત્યારે હવે આ ઘટના અંગે હાઈકોર્ટે પણ તંત્ર અને સરકાર બન્નેની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી નાખી છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જવાબદાર તંત્રને સુણાવતાં કહ્યું કે શું તમે આંધળા છો ? અઢી વર્ષથી શા માટે ઊંઘી રહ્યા હતા. આ ઉપરાંત સરકારને પણ ફટકાર લગાવતાં કોર્ટે કહ્યું કે મીડિયાના અહેવાલોની બધા ઉપર અસર થાય છે પણ સરકાર તેને ક્યારેય ગણકારતી નથી !
હાઈકોર્ટના સ્પેશ્યલ જજ બીરેન વૈષ્ણવ તેમજ દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ એડવોકેટ એસો.ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલે ધારદાર દલીલ કરી હતી. જ્યારે સરકાર તરફે મનિષા લવકુમાર શાહે પક્ષ રજૂ કર્યો હતો. બન્ને પક્ષો વચ્ચે સાડા ચાર કલાક સુધી દલીલ થઈ હતી જેમાં હાઈકોર્ટે અનેક મહત્ત્વની ટીપ્પણીઓ કરી હતી.
દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે જો પોલીસ, મહાપાલિકા સહિતના તંત્રએ ધ્યાન રાખ્યું હોત તો આ દૂર્ઘટના બની જ ન હોત. હવે અમને સરકાર કે તંત્ર ઉપર ભરોસો નથી. લોકો સરકારી મશીનરીના `ટ્રીગર’થી મોતને ભેટી રહ્યા છે. અઢી વર્ષથી ગેઈમ ઝોન ધમધમી રહ્યો હતો ત્યારે તમે શું સૂઈ ગયા હતા કે પછી આંધળા થઈ ગયા હતા ? અનેક મોટા અધિકારીઓ ગેઈમ ઝોનમાં રમવા ગયા હતા જેની તસવીરો વાયરલ થઈ છે તે અંગે કોર્ટે પૂછયું કે આ અધિકારીઓ રમવા ગયા ત્યારે શું કરી રહ્યા હતા ? હવે સરકારે તમામ ગેમિંગ ઝોન બંધ કરાવી દીધા છે ત્યારે દૂર્ઘટના બન્યા બાદ પેનિક બટન દબાવવાનો મતલબ શું ?
કોર્ટે એવો સવાલ પણ કર્યો કે અમારા ચાર વર્ષ પહેલાંના આદેશ બાદ પણ જો ફાયર સેફ્ટી મામલે કોઈ પગલાં લેવાયા નથી તો મહાપાલિકાને જવાબદાર કેમ ન ગણવી જોઈએ ? મહાપાલિકા ત્રણ વર્ષ સુધી શું કરી રહી હતી ? મ્યુનિસિપલ કમિશનર જ આવા ગેઈમ ઝોનના ઉદ્ઘાટનમાં જાય તે કેટલું વ્યાજબી છે ?
અમે મ્યુનિ.કમિશનરને સસ્પેન્ડ કરવાના હતા, હવે નથી કરતા
હાઈકોર્ટે મહત્ત્વની ટીપ્પણી કરતા એમ પણ જણાવ્યું હતું કે અમે આ દૂર્ઘટના બાદ રાજકોટ મ્યુનિ.કમિશનરને સસ્પેન્ડ કરવાના હતા પરંતુ હવે નથી કરતા…! આ પહેલાં મહાપાલિકા તરફથી રજૂ થયેલા વકીલે દલીલ કરી હતી જેના જવાબમાં હાઈકોર્ટે આ નિવેદન આપ્યું હતું.
કોઈ મંજૂરી અપાઈ હતી કે કેમ ? પોલીસ કમિશનર પાસેથી મંગાયો જવાબ
હાઈકોર્ટે રાજકોટ પોલીસ કમિશનર પાસે ટીઆરપી ગેઈમ ઝોનને કોઈ પ્રકારની મંજૂરી આપવામાં આવી હતી કે કેમ તેનો જવાબ ૩ જૂન પહેલાં આપવા આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે આ મામલાની આગામી સુનાવણી ૬ જૂને થશે.
ફરિયાદમાં પેટ્રોલ-ડીઝલનો ઉલ્લેખ કેમ નહીં ?
વકીલો દ્વારા એવી દલીલ પણ કરવામાં આવી હતી કે ઘટનાસ્થળ ઉપર હજારો લીટર જ્વલનશીલ પદાર્થ જેમાં પેટ્રોલ-ડીઝલ સહિતનું પડ્યું હોવા છતાં તેનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ત્યારે આવું શા માટે ? તેનો જવાબ તંત્રને આપવો જોઈએ.
પૂરાવાનો નાશ કરવા બૂલડોઝર ફેરવાયું
વકીલ બ્રિજેશ ત્રિવેદીએ ધારદાર દલીલ કરતાં કહ્યું કે પૂરાવાનો નાશ કરવા માટે જેસીબી ફેરવી દેવાયું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીની મુલાકાતને પગલે વહેલી સવારે ૩ વાગ્યે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દો પણ ઘણો મહત્ત્વનો હોવાનું તેમણે જણાવ્યું હતું.