બાબા રામદેવને યોગ શિબિરની ફી ઉપર કરોડોનો સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે
સુપ્રિમ કોર્ટે આપ્યો ઝટકો : આ સેવા રોગની સારવાર માટે આપવામાં આવે છે તેવી દલીલ માન્ય ન રહી
યોગ ગુરુ બાબા રામદેવના ગ્રહો હમણાં ઉલટી ચાલ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુપ્રિમ કોર્ટના ગુસ્સાનો ભોગ બનેલા બાબા રામદેવને વધુ એક ફટકો પડ્યો છે અને કોર્ટે તેમને યોગ શિબિર માટે લેવામાં આવતી ફી ઉપર સર્વિસ ટેક્સ ચુકવવા આદેશ કર્યો છે.
મેરઠ રેન્જના કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનરે ઓક્ટોબર, 2006થી માર્ચ, 2011ના સમયગાળા માટે દંડ અને વ્યાજ સહિત લગભગ 4.5 કરોડ રૂપિયાના સર્વિસ ટેક્સની માંગણી કરી હતી. આના જવાબમાં ટ્રસ્ટે દલીલ કરી હતી કે તે સેવાઓ પૂરી પાડે છે જે રોગોની સારવાર માટે છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ સેવાઓ ‘સ્વાસ્થ્ય અને ફિટનેસ સેવાઓ’ હેઠળ કરપાત્ર નથી. જો કે, સુપ્રેમના આદેશ પછી હવે પતંજલિએ 4.5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
આ મામલામાં કોર્ટે એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને માન્ય રાખ્યો હતો જેમાં ટ્રસ્ટને યોગ શિબિરોના આયોજન માટે વસૂલવામાં આવતી પ્રવેશ ફી પર સર્વિસ ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાની ખંડપીઠે કસ્ટમ, એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT)ની અલ્હાબાદ બેન્ચના 5 ઓક્ટોબર, 2023ના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.
ટ્રસ્ટની અપીલને ફગાવી દેતાં ખંડપીઠે કહ્યું હતું કે “ટ્રિબ્યુનલે યોગ્ય રીતે કહ્યું છે કે ફી વસૂલાતા શિબિરોમાં યોગ કરવું એ સેવા છે. અમને આ આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. અપીલ ફગાવી દેવામાં આવે છે.” CESTAT એ તેના આદેશમાં જણાવ્યું હતું કે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા આયોજિત રહેણાંક અને બિન-રહેણાંક યોગ શિબિરોમાં ભાગ લેવા માટે ફી લેવામાં આવે છે, તેથી તે ‘સ્વાસ્થ્ય અને ફિટનેસ સેવા’ની શ્રેણીમાં આવે છે અને તેના પર સેવા ટેક્સ લાગશે.
યોગ ગુરુ રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના નેતૃત્વમાં કાર્યરત આ ટ્રસ્ટ વિવિધ શિબિરોમાં યોગની તાલીમ આપે છે. ટ્રિબ્યુનલે તેના આદેશમાં કહ્યું હતું કે યોગ શિબિરોની ફી સહભાગીઓ પાસેથી દાન તરીકે લેવામાં આવી હતી. જો કે આ રકમ દાન તરીકે એકઠી કરવામાં આવી હતી, તે માત્ર ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવા માટેની ફી હતી. તેથી તે ફીની વ્યાખ્યા હેઠળ આવે છે.