IPLનો બીજો રાઉન્ડ દુબઈમાં રમાડવા તૈયારી
બીસીસીઆઈના ટોચના અધિકારીઓ દુબઈ પહોંચ્યા: ખેલાડીઓને પાસપોર્ટ તૈયાર રાખવા કહેવાયું
૨૨ માર્ચથી ૭ એપ્રિલ સુધીનો પ્રથમ તબક્કો ભારતમાં, ત્યારબાદની મેચ દુબઈમાં ખસેડવા કવાયત
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)-૨૦૨૪નો પ્રારંભ ૨૨ માર્ચથી થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીને કારણે અત્યાર સુધી બીસીસીઆઈએ માત્ર ૨૧ મેચનો કાર્યક્રમ જ જાહેર કર્યો છે. જો કે હવે એવી અટકળો વહેતી થઈ છે કે ચૂંટણીને કારણે આઈપીએલનો બીજો તબક્કો દુબઈમાં ખસેડવામાં આવી શકે છે. લોકસભા ચૂંટણીનું એલાન થઈ ગયું છે એટલા માટે હવે બીસીસીઆઈ બીજા તબક્કાને દુબઈ ખસેડવો કે નહીં તેની ગંભીરપણે વિચારણા કરવા લાગ્યું છે. આ બધાની વચ્ચે બીસીસીઆઈના અમુક ટોચના અધિકારીઓ અત્યારે દુબઈમાં જ છે.
અહેવાલો મળી રહ્યા છે કે આઈપીએલની અમુક ટીમોએ ખેલાડીઓ પાસેથી તેમના પાસપોર્ટ મોકલવા માટે કહ્યું છે. ૨૦૧૪માં આઈપીએલનો પ્રથમ તબક્કો પણ લોકસભા ચૂંટણીને કારણે સંયુક્ત અરબ અમીરાત મતલબ કે યુએઈમાં આયોજિત કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ આઈપીએલના પ્રથમ તબક્કાની જાહેરાત કરી છે જેમાં ૨૧ મેચ સામેલ છે. આ પ્રમાણે પ્રથમ તબક્કાનો અંતિમ મુકાબલો ૭ એપ્રિલે લખનૌમાં લખનૌ સુપર જાયન્ટસ-ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે.
જ્યારે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ૨૨ માર્ચે ચેન્નાઈમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. પાછલી વખતે આઈપીએલ યુએઈમાં ૨૦૨૧માં આયોજિત કરાઈ હતી. જ્યારે ૨૦૨૦ની સીઝન પણ યુએઈમાં જ રમાઈ હતી. ભારતમાં કોરોના મહામારીને કારણે આઈપીએલને ત્યાં સ્થળાંતરિત કરાઈ હતી. ૨૦૦૯ની આઈપીએલ પણ સાઉથ આફ્રિકામાં રમાઈ ચૂકી છે.
ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાય તેવા પ્રયાસો: ધૂમલ
આઈપીએલ ચેરમેન અરુણ ધૂમલે કહ્યું કે બીજો તબક્કો ભારતમાં જ રમાડવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. તેમણે બીજા તબક્કાનું યુએઈમાં આયોજન કરવાની વાત અંગે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે લોકસભા ચૂંટણીની તારીખ અને મેચની તારીખો ટકરાય નહીં તે પ્રકારે બીજા તબક્કાનો કાર્યક્રમ તૈયાર કરવા અંગે તૈયારી ચાલી રહી છે.