અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું કાઉન્ટડાઉન શરૂ…
- મંદિરમાં રામલલ્લાના આગમન સાથે જ ઉમંગ-ઉલ્લાસ વધ્યા
- મંદિરની રક્ષા માટે દૂધ અને પવિત્ર જળનો છંટકાવ કરાયો
- નવગ્રહની સ્થાપના: રામલલ્લાને કેસર સહિતની ઔષધીનો લેપ કરાયો
જેમ જેમ રામમંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ઉમંગ અને ઉલ્લાસ વધી રહ્યા છે. ધાર્મિક ભાવનાનો સમંદર ઉમટ્યો હોય તેવો માહોલ સમગ્ર અયોધ્યા નગરીમાં જોવા મળી રહ્યો છે. સોમવારે વડાપ્રધાન પ્રાણપ્રતિષ્ઠા કરે તે પૂર્વે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે ગયા હતા અને રામમંદિર પરિસરની મુલાકાત લીધી હતી. રામ મંદિરમાં ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા અનુષ્ઠાનમાં શુક્રવારે અગ્નિ મંથન કરવામાં આવ્યું હતું તેમજ નવ ગ્રહની સ્થાપના કરવામાં આવી હતી. આજે સવારે ૯ વાગ્યે અરનિમંથનથી અગ્નિ પ્રકટ કરવામાં આવી હતી. આ પહેલા ગણપતિ આદિ સ્થાપિત દેવતાઓની પૂજા, દ્વારપાલો દ્વારા તમામ શાખાઓનું વેદ વાંચન, દેવ પ્રબોધન, ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ, કુંડપૂજન અને પંચભુ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અરનિમંથન દ્વારા પ્રકટ કરવામાં આવેલી અગ્નિની કુંડમાં સ્થાપના, ગ્રહસ્થાપન, અસંખ્ય રુદ્રપીઠસ્થાપન, પ્રધાનદેવતાસ્થાપન, રાજારામ – ભદ્ર – શ્રીરામયંત્ર – બીઠદેવતા – અંગદેવતા – આવરણદેવતા – મહાપૂજા, વરૂણમંડળ, યોગિનમંડળસ્થાન, ક્ષેત્રપાલમંડળસ્થાન, ગ્રહહોમ, સ્થાપ્યદેવહોમ, પ્રસાદ વાસ્તુશાંતિ, ધાન્યાધિવાસ સાંજની પૂજા અને આરતી કરવામાં આવી હતી.
અયોધ્યામાં રામ મંદિરના ૧૨૧ પૂજારીમાના એક પુજારી એવા આચાર્ય અરુણ દીક્ષિતજીએ વોઇસ ઓફ ડે સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અનુષ્ઠાનમાં શુક્રવારે અગ્નિ મંથન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે અગ્નિ પ્રગટ થઈ હતી તેને નવકુંડમાં વિતરણ કરવામાં આવી હતી. નવ ગ્રહની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ પ્રધાનપીઠ એટલે કે મધ્યમાં વેદી બનાવવામાં આવી છે જ્યાં રામભદ્ર બનાવીને ભગવાન રામને બિરાજમાન કરવામાં આવ્યા છે. ચાંદીની બે ફૂટની મૂર્તિનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ નવગ્રહની શાંતિ થશે અને હવન શરૂ કરવામાં આવ્યો હતો અને તેની અગ્નિ ૨૨ તારીખ સુધી અખંડ રહેશે. ત્યારબાદ રામ મંદિર પરિસર નજીક રામ મંદિરનું વાસ્તુ શાંતિ થશે હોમ હવન કરવામાં આવ્યો હતો. મંદિરની રક્ષા માટે મંદિરની ચારે બાજુ મંત્રો દ્વાર બાંધવામાં આવ્યું હતું. એક પાત્રમાં દૂધ અને પાણી લઈ આખા મંદિર પરિષદમાં તેનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બાદમાં સાંજે ભગવાન શ્રીરામને ચોખામાં આદિવાસ કરવામાં આવ્યો હતો. કુલ ૧૨ પ્રકારના આદિવાસ કરવામાં આવનાર છે.
આખા ભારતભરમાંથી આવેલા કેસર સહિતની ઔષધી દ્વારા ભગવાનને લેપ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી. કારીગરોએ મૂર્તિને આસન પર બિરાજમાન કરી હતી. આ પ્રક્રિયામાં ૪ કલાકનો સમય લાગ્યો હતો.
