૨૨મીએ ઘરે-ઘરે દીવા પ્રગટાવો: મોદી
વડાપ્રધાને અયોધ્યામાં ભવ્ય અયોધ્યાધામ, રેલવે સ્ટેશન અને અતિ આધૂનિક એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું: ૬ વંદે ભારત, ૨ અમૃત ભારત
ટે્રનને પણ લીલીઝંડી આપી: એરપોર્ટ આપણને દિવ્ય-ભવ્ય અને નવ્ય રામમંદિર સાથે જોડે છે
૨૨મી જાન્યુઆરીએ ઐતિહાસિક રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા હતા જ્યાં એમણે રોડ-શો કર્યા બાદ નવા બનેલા ભવ્યતિ અયોધ્યાધામ રેલવે જંકશનનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ વડાપ્રધાને અતિઆધૂનિક અને આકર્ષક મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ અયોધ્યા નગરીને રૂા.૧૬ હજાર કરોડની વિવિધ પરિયોજનાઓની ભેટ આપી હતી. એમને આવકારવા માટે અયોધ્યા નગરી શણગારોમાં દીપી ઉઠી હતી.
આ તકે વડાપ્રધાને જનસભાને સંબોધન કરીને દેશવાસીઓને એવી અપીલ કરી હતી કે, ૨૨મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને સાંજે તમામ દેશવાસીઓ પોતપોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવે અને દિવાળી મનાવે અને કહ્યું કે, ૨૨ જાન્યુઆરીનો દુનિયાને ઇંતેજાર છે. દુનિયા માટે તે ઐતિહાસિક ક્ષણ છે અને હું પણ ઉત્સાહી છું. ભારતની માટીના કણ-કણ અને જન-જનનો હું પૂજારી છું. અયોધ્યાની સડકો પર ભારે ઉત્સાહ છે. એ જ રીતે ૩૦મી ડિસેમ્બરનો દિવસ પણ ઐતિહાસિક છે. કારણ કે આ જ દિવસે સુભાષચંદ્ર બોઝે આંદામાનમાં ઝંડો ફરકાવીને ભારતની આઝાદીનો જયઘોષ કર્યો હતો. અયોધ્યામાં વિરાસત છે અને વિકાસ પણ છે.
એમણે કહ્યું કે, એક સમયે રામલલ્લા ટેન્ટમાં બિરાજમાન હતા પરંતુ હવે ફક્ત રામલલ્લાને જ પાકું ઘર મળ્યું નથી પણ તેની સાથે ચાર કરોડ ગરીબ પરિવારોને પણ ઘર મળ્યા છે. હવે અયોધ્યામાં વિરાસતની ભવ્યતા દેખાશે. અયોધ્યાની ભૂમિ ઓળખ પાછી લાવવાની છે. સરકાર અયોધ્યાને સ્માર્ટ બનાવી રહી છે. એમણે કહ્યું કે, નવા અને ભવ્ય એરપોર્ટની ક્ષમતા ૧૦ લાખ યાત્રિકોની છે. આજે અનેક પથના ઉદ્ઘાટન થયા છે અને નવી ટાઉનશિપ પણ બની રહી છે. પ્રથમ અમૃત ભારત ટે્રનની અયોધ્યાથી શરૂઆત થઈ છે. એમણે અયોધ્યાધામ રેલવે સ્ટેશનથી નવી ૬ વંદે ભારત અને ૨ અમૃત ભારત ટે્રનને પણ લીલીઝંડી બતાવી હતી.
વડાપ્રધાને જનતાને એવી માહિતી પણ આપી હતી કે, રામ કી પૌડીનો પણ વિકાસ થઈ રહ્યો છે અને તેને નવું સ્વરૂપ અપાઈ રહ્યું છે. સાથોસાથ એમણે દેશની જનતાને તા.૧૪થી ૨૨ જાન્યુઆરી સુધી દેશના તમામ તીર્થસ્થાનોમાં સફાઈ અભિયાનની હાંકલ કરી હતી. એમણે કહ્યું હતું કે, નવુ એરપોર્ટ આપણને દિવ્ય-ભવ્ય અને નવ્ય રામ મંદિરથી જોડે છે. અયોધ્યાવાસીઓને અને દેશવાસીઓને હું બધાઈ આપું છું.
અયોધ્યાને સ્વચ્છ શહેર બનાવો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રેલવે સ્ટેશન અને એરપોર્ટના ઉદ્ઘાટન બાદ જનસભાને સંબોધન કરીને એવી અપીલ પણ કરી હતી કે, અયોધ્યાવાસીઓ અયોધ્યાને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવે અને તેમાં સહકાર આપે. અમે અયોધ્યાને આવું સ્વરૂપ આપવા માગીએ છીએ. લોકોએ સ્વચ્છતા અભિયાનને સંપૂર્ણ પ્રતિસાદ આપ્યો હતો અને હવે આપણે અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવીશું. દુનિયાભરમાંથી લોકો અયોધ્યા આવવાના છે અને અયોધ્યાનું આખું સ્વરૂપ હવે બદલાઈ જવાનું છે.
૧૪ થી ૨૨ જાન્યુઆરી તીર્થસ્થાનો માટે સફાઈ અભિયાન ચલાવો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન દરમિયાન ઘણી મહત્વની વાતો કરી હતી અને જાણકારી આપી હતી અને સાથોસાથ સ્વચ્છતા અભિયાનને પણ ખુબજ મહત્વ આપીને એવી અપીલ કરી હતી કે, તા.૧૪થી ૨૨ જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન દેશના તમામ તીર્થસ્થાનો માટે સફાઈ અભિયાન ચલાવવું જોઈએ. એમણે કહ્યું કે, દાનત સારી હોય તો કામ ફટાફટ થઈ જાય છે. તીર્થસ્થાનોને આપણે વધુ પવિત્ર અને વધુ સ્વચ્છ બનાવવા જોઈએ અને તેમાં સૌએ સહકાર આપવો જોઈએ.
વડાપ્રધાન દલિત મહિલાના ઘરે ગયા અને ચા પીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટનોની વિધિ સંપન્ન કર્યા બાદ અચાનક એક દલિત મહિલા મિરા માંઝીના ઘરે પહોંચી ગયા હતા. આ મહિલા ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે. વડાપ્રધાન આ મહિલાના ઘરે થોડો સમય માટે રોકાયા હતા અને તેણીએ બનાવેલો ચા પીધો હતો. મહિલાના પરિવારજનો અને બાળકો સાથે વાતચીત કરી હતી. અચાનક વડાપ્રધાન ઘરે આવતા દલિત મહિલા ખુબ ખુશ થઈ ગઈ હતી અને તેણીએ કહ્યું હતું કે, મારા ઘરે આજે ભગવાન પધાર્યા… મીરા મોદી સરકારની ઉજ્જ્વલા યોજનાની ૧૦ કરોડમી લાભાર્થી છે.
૨૨મી જાન્યુઆરી લોકોને અયોધ્યા નહીં આવવા વડાપ્રધાનની અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ઉદ્દઘાટનોના કાર્યક્રમ બાદ જનસભાને કરેલા સંબોધનમાં લોકોને એવી અપીલ કરી હતી કે, તા.૨૨મી જાન્યુઆરીના રોજ રામ મદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને આ કાર્યક્રમમા ૨૨મી તારીખે લોકોએ અયોધ્યા આવવાનું નથી. ૨૩મી તારીખથી ભક્તો અયોધ્યા આવી શકે છે. તમે ૫ હજાર વર્ષ વાટ જોઈ છે તો થોડાક દિવસ વધારે પ્રતિક્ષા કરો. આ કાર્યક્રમમા જે લોકોને આમત્રણ અપયું છે એવા લોકોને જ ૨૨મી જાન્યુઆરી અયોધ્યા આવવાનું નક્કી કરાયુ છે. લોકો આ ઐતિહાસિક પ્રસંગમાં સહકાર આપે અને ધૈર્ય બનાવી રાખે.