- -નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગને ખુલ્લું મુકશે
- -ભાજપના હજારો કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત ની તૈયારી
- -હીરાના વેપારીઓ અને રત્ન કલાકારોને સંબોધશે
સુરતમાં ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરત આવી રહ્યા છે. ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં 5350 થી વધુ અધિકારીઓ-પોલીસ જવાનો તૈનાત રહેશે. ઉપરાંત, સમગ્ર કાર્યક્રમ વિસ્તાર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે.
સુરત ખાતે વડાપ્રધાનનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવાની તૈયારી થઇ ચુકી છે. શહેરમાં ઓએનજીસી બ્રિજ – ઓ.પી ફાર્મની સામે – મનભરી ફાર્મ – રોડ મટીરીયલ ડેપો – ડાલમિયા ફાર્મ – સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે વડાપ્રધાનનું સ્વાગત કરાશે. ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ વડાપ્રધાનને આવકારશે.
વડાપ્રધાન ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવાના છે અને આ કાર્યક્રમ માટે સુરત હીરા બુર્સની હૂબહૂ પ્રતિકૃતિ બનાવાઈ છે. હીરા, સોનું અને ચાંદી વડે બની 2 કિલોની સુરત બુર્સની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. . ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 60 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે.
સહકારી ધોરણે 3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદ્ઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે.
આ કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાન સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ ખુલ્લું મુકશે. આ બિલ્ડીંગમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટ વર્ક કરાયું છે.નવા ટર્મિનલમાં 1800 પ્રવાસીઓ સમાઈ શકે એટલી જગ્યા છે. ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના પ્રવાસીઓ માટે બે એક્ઝિક્યુટિવ લોન્જ બનાવાયા છે. નવા ટર્મિનલમાં પાંચ એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. કસ્ટમ ઈમિગ્રેશન અને ચેકિંગ કાઉન્ટરની સંખ્યામાં વધારો કરાયો છે.
PM મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યકમ
સવારે 10:20 એ PM મોદી સુરત એરપોર્ટ પર આવી પોંહચશે. ત્યાર બાદ 10:30 એ નવા બનેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. 10:45 એ એરપોર્ટ બિલ્ડીંગ થી નીકળીને 11 વાગ્યે ડાયમન્ડ બુર્સ પહોંચશે. જ્યાં પહેલા નવા બનેલા ડાયમન્ડ બુર્સની મુલાકાત લેશે. ત્યારબાદ એક કલાક સુધી ડાયમન્ડ બુર્સના સંચાલકો અને રત્નકલાકારોની સભા સંબોધશે. જ્યાં 4200 ઓફિસના માલિક અને પરિવાર પણ હાજર રહેશે. ત્યારબાદ 12:35 એ ડાયમન્ડ બ્રુશથી નીકળી એરપોર્ટ જશે. જ્યાં 12:55 એ PM મોદી હવાઈ માર્ગે વારાણસી જશે.