ન કોઈ દર્દી, ન કોઈ ડૉક્ટર…કાગળ ઉપર ચાલતી હોસ્પિટલ !!
દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયાસ કરી રહેલી સરકારની પહેલને જબદરસ્ત બટ્ટો
જામનગર રોડ ઉપર બી.એ.ડાંગર હોમિયોપેથી કોલેજ-હોસ્પિટલમાં એક-એકથી ચડિયાતી ગેરરીતિ પકડી પાડતું `વૉઈસ ઑફ ડે’
છેલ્લા બે મહિનાથી કોઈ ડૉક્ટર કે દર્દી આવી રહ્યા નથી છતાં કાગળ ઉપર બધું ચાલી રહ્યું છે `ઓલ વેલ’: વિદ્યાર્થીઓ કેવી રીતે, શું પ્રેક્ટિસ કરતા હશે તેના ઉપર મોટો પ્રશ્નાર્થ
સૌથી મોટો સવાલ, મેડિકલ કોલેજની મંજૂરી માટે હોસ્પિટલ હોવી જરૂરી પરંતુ ડૉક્ટર વગરની આવી `લેભાગુ’ હોસ્પિટલને આખરે મંજૂરી કોણે આપી હશે ? છેલ્લા એક મહિનાથી બી.એ.ડાંગર કોલેજ પ્રિન્સિપાલ વગર જ ચાલી રહી છે: ૧૦૦થી ૧૫૦ વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ અંધકારમય
ડૉક્ટરની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓ અને તે પણ હોમિયોપેથીના લોહી લઈ લેતાં હોવાનો પર્દાફાશ
ડૉક્ટર…આ શબ્દ સંભળાય એટલે બીમાર લોકોના ચહેરા ઉપર અનેરું હાસ્ય આવી જતું હોય છે, જ્યારે કોઈ બીમાર પડે એટલે તેને તુરંત જ હોસ્પિટલે ખસેડવામાં આવે છે પરંતુ એક સેક્નડ માટે વિચાર કરો જ્યારે કોઈ દર્દીને એવી જગ્યાએ સારવાર માટે એવી હોસ્પિટલમાં ખસેડવામાં આવે કે જ્યાં ડૉક્ટર જ હાજર ન હોય તો તેને શું કહેશો ? રાજકોટમાં આમ તો એક એકથી હટ કે કૌભાંડો સામે આવી ચૂક્યા છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થઈ ગયો હોય તેવી રીતે એક આખેઆખી હોસ્પિટલ માત્ર કાગળ ઉપર જ ધમધમી રહી હોવાનો પર્દાફાશ વૉઈસ ઑફ ડે' દ્વારા કરવામાં આવ્યો છે. આમ તો અહીં કોઈ દર્દી નથી હોતું કે ન તો કોઈ ડૉક્ટર ઉપલબ્ધ હોતા આમ છતાં તેને હોસ્પિટલ નામ આપવામાં આવ્યું છે જે સાંભળી સૌ કોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું છે.
વૉઈસ ઑફ ડે’એ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં જામનગર રોડ ઉપર આવેલી બી.એ.ડાંગર હોમિપેથિક કોલેજ-હોસ્પિટલમાં એક-એકથી ચડિયાતી ગેરરીતિઓ પકડાઈ ગઈ હતી. સૌથી મોટી ગેરરીતિની વાત કરવામાં આવે તો હોસ્પિટલના ડૉક્ટર્સ લિસ્ટમાં ૧૫ જેટલા તબીબો ફરજ બજાવી રહ્યા છે. જો કે માત્રને માત્ર કાગળ' ઉપર જ હોય તેવું સ્પષ્ટપણે બહાર આવ્યું છે કેમ કે સ્ટિંગ ઓપરેશન વખતે એકેય ડૉક્ટર હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા ન્હોતા. જો કે આ વાતનો જવાબ સ્ટાફ દ્વારા એવો આપવામાં આવ્યો હતો કે અત્યારે લગ્નગાળો અને બીમારીની સીઝન ચાલી રહી હોવાથી તબીબો હાલ ઉપલબ્ધ નથી ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું એક સાથે પંદરેય તબીબો બીમાર થઈ ગયા હશે કે લગ્ન ગાળામાં વ્યસ્ત બની ગયા હશે ? આટલું ઓછું હોય તેમ
વૉઈસ ઑફ ડે’એ હોસ્પિટલમાં ૨૫થી ૩૦ મિનિટનું રોકાણ કર્યું હતું પરંતુ એકેય દર્દી સારવાર માટે આવ્યું ન્હોતું જે પણ શંકા જન્માવનારી વાત ગણી શકાશે. હવે જોવાનું એ રહેશે કે કોલેજ-હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની જવાબદારી જેમની છે તેઓ ખંતપૂર્વક કાર્યવાહી કરશે કે પછી હોતા હૈ, ચલતા હૈ'ની માફક બધું ચાલવા દઈને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરશે ? અત્રે સૌથી મોટો સવાલ એ પણ ઉપસ્થિત થાય છે કે મેડિકલ કોલેજની મંજૂરી માટે હોસ્પિટલ હોવી જરૂરી છે પરંતુ ડૉક્ટર વગરની આવી
લેભાગુ’ હોસ્પિટલને આખરે મંજૂરી કોણે આપી હશે ? છેલ્લા એક મહિનાથી બી.એ.ડાંગર કોલેજ પ્રિન્સિપાલ વગર જ ચાલી રહી છે ત્યારે અહીં અભ્યાસ કરતાં ૧૦૦થી ૧૫૦ વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ અંધકારમય બની જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ખાસ વાત એ છે કે ડૉક્ટરની ગેરહાજરીમાં જ અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ (જેઓ હજુ ડૉક્ટર બન્યા નથી) દ્વારા દર્દીઓના લોહી લઈ લેવામાં આવતા હોવાનું ખુલ્યું છે.

-
વૉઈસ ઑફ ડે' સમક્ષ પૂર્વ પ્રિન્સીપાલનો ધડાકો: અહીં બધું જ
ખોટું’ ચાલે છે !! - ડાંગર કોલેજ-હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ પાસેથી ૧૦ હજારથી લઈ ૨ લાખ પડાવાય છે: વિદ્યાર્થીઓ છેતરાઈ રહ્યા છે: શારીરિક, માનસિક, આર્થિક શોષણ સિવાય કશું જ નથી થતું: વિદ્યાર્થીઓને સવારથી સાંજ સુધી બેસાડી રાખવાનો મતલબ શું
- ડૉક્ટરનું લિસ્ટ પણ નકલી હોવાનો આક્ષેપ, `લાલીયાવાડી’થી કંટાળીને જ ૧ નવેમ્બરે કોલેજ છોડી દીધાનો દાવો
વૉઈસ ઑફ ડે, રાજકોટ
જામનગર રોડ ઉપર બી.એ.ડાંગર કોલેજ-હોસ્પિટલમાં સ્ટિંગ ઓપરેશન કર્યા બાદ `વૉઈસ ઑફ ડે’ દ્વારા કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ આર.કે.મિશ્રાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો જેમાં તેમણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આર.કે.મિશ્રાએ જણાવ્યું કે મેં ૧ નવેમ્બરે કોલેજની નોકરી છોડી દીધી છે કેમ કે અહીં બધું જ ખોટું થઈ રહ્યું હતું. અત્યારે માત્ર બે લોકોથી જ હોસ્પિટલ કહો તો હોસ્પિટલ અને કોલેજ કહો તો કોલેજ ચાલી રહી છે. અહીં વિદ્યાર્થીઓ પાસેથી ૧૦ હજારથી લઈ ૨ લાખ રૂપિયા ઘટતી હાજરી પૂરવાના નામે પડાવવામાં આવી રહ્યા છે !!
વધુમાં તેમણે જણાવ્યું કે અહીં ક્યારેય કોઈ દર્દી સારવાર માટે આવતું જ નથી ત્યારે વિદ્યાર્થીઓને રીતસરનો દગો અપાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને સવારથી સાંજ સુધી બેસાડી રાખવામાં આવે છે અને અહીં માત્રને માત્ર તેમનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ સિવાય કશું જ કરવામાં આવતું નથી. અત્યારે હું મારા વતન ઉત્તરપ્રદેશમાં આવી ગયો છું.
પ્રિન્સીપાલ મિશ્રાએ એવો આક્ષેપ પણ કર્યો કે અહીં લેવામાં આવતી પરીક્ષા પણ નકલી હોય છે અને ડૉક્ટરનું જે લિસ્ટ છે તે પણ નકલી છે. અહીં ડૉક્ટરને કામ વગર જ પગાર ચૂકવવામાં આવી રહ્યો છે.
પૂર્વ પ્રિન્સીપાલે કહ્યું, વીરલ વસાવડાને ૬૦ હજાર પગાર ચૂકવીને ૩૦ હજાર પરત લેવાય છે
પૂર્વ પ્રિન્સીપાલ આર.કે.મિશ્રાએ `વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે બી.એ.ડાંગર હોમિયોપેથી કોલેજ-હોસ્પિટલના સીનિયર તબીબ ડૉ.વીરલ વસાવડાને દર મહિને ૬૦ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે અને તેમાંથી ૩૦ હજાર રૂપિયા પરત લઈ લેવામાં આવી રહ્યા છે.
કયા ડૉક્ટરને કેટલો પગાર ચૂકવાય છે (પ્રિન્સીપાલે કરેલા દાવા પ્રમાણે)
ડૉક્ટર ક્યારે આવે છે પગાર
ડૉ.વીરલ વસાવડા ક્યારેક આવે, ક્યારેક નહીં ૬૦,૦૦૦-૩૦ હજાર પરત આપે છે
ડૉ. વીરલ સંઘવી (એન્સ્થેટિક) ક્યારેય આવતા નથી ૫૬૦૦ રૂપિયા
ડૉ. નમ્રતા જનસારી (ગાયનેકોલોજીસ્ટ) ક્યારેય આવતાં નથી ૭૫૦૦ રૂપિયા
ડૉ.પિયુષ ઉનડકટ (ઓપ્થેમોલોજીસ્ટ) ક્યારેય આવતા નથી ૫૬૦૦ રૂપિયા
આશ્ચર્યમ: ડૉક્ટરને સ્ટોરકિપર બતાવ્યા’ને એ પણ ૧૦મું ફેઈલ !
બી.એ.ડાંગર કોલેજ કાગળ ઉપર કેવી `કરામત’ કરે છે તેનો વધુ એક ખુલાસો એવો થયો છે કે તેણે એક ડૉક્ટર કે જે અત્યારે હોસ્પિટલ સાથે જોડાયેલા છે તેમને બી.એ.ડાંગર કોલેજ-હોસ્પિટલમાં સ્ટોર કિપર તરીકે દર્શાવી દેવામાં આવ્યા છે અને તે પણ મેટ્રિક મતલબ કે ધો.૧૦ ફેઈલ !! આ નામ ડૉક્ટર લીસ્ટમાં ૩૧મા ક્રમે છે.
`વૉઈસ ઑફ ડે’એ બી.એ.ડાંગર કોલેજના તબીબો સાથે કરેલી વાતચીત, કોણે શું કહ્યું ?
ડૉક્ટર શું જવાબ મળ્યો
ડૉ.વીરલ વસાવડા હું ગુરૂવાર અને શનિવારે જાઉં છું (જો કે ગુરૂવારે કરાયેલા સ્ટિંગ ઓપરેશન વખતે ડૉ.વસાવડા ક્યાંય જોવા મળ્યા ન્હોતા)
ડૉ. પીયુષ ઉનડકટ તેઓ પોતાની હોસ્પિટલમાં દર્દી ચકાસવામાં વ્યસ્ત હતા
ડૉ. હિરેન વૈદ્ય ફોન સ્વીચ ઑફ
ડૉ.નીરજ ડાભી હું નથી જતો, તમે રૂબરૂ આવો
સિક્યુરિટી ગાર્ડનો સૌથી મોટો ખુલાસો: બે મહિનાથી દર્દી કે ડૉક્ટર કોઈ નથી આવતું, હું જ બધાનું રજિસ્ટે્રશન કરું છું !!વૉઈસ ઑફ ડે' દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં બી.એ.ડાંગર કોલેજ-હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ કે જે મુખ્ય ગેઈટ ઉપર બેસે છે તેમણે
ઑન કેમેરા’ એવો ખુલાસો કર્યો કે બે મહિનાથી અહીં તો દર્દી કે ડૉક્ટર કોઈ જ આવતું નથી અને હું જ બધાનું રજિસ્ટે્રશન કરી રહ્યો છું. `વૉઈસ ઑફ ડે’ અહીં દર્દીના રૂપમાં ગયું હતું જે દરમિયાન આ સઘળા ખુલાસા થયા છે. સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે તમે અહીં તમારો સમય ન બગાડો અને બીજી હોસ્પિટલમાં ચાલ્યા જાવ…અત્યારે અહીં ૫૦થી ૬૦ વિદ્યાર્થીઓ બે પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે.
બી.એ.ડાંગર હોસ્પિટલમાં લોહી આપ્યું ૧૨:૪૫ વાગ્યે, રિપોર્ટ મળ્યો ૧૧:૫૧ વાગ્યાનો
સૌથી મોટી વાત એ છે કે બી.એ.ડાંગર કોલેજ-હોસ્પિટલમાં દર્દીએ રિપોર્ટ માટે પોતાનું લોહી આપ્યું હતું. આ લોહીનો નમૂનો ૧૨:૪૫ વાગ્યે આપવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલ દ્વારા જે રિપોર્ટ અપાયો તેમાં સમય ૧૧:૫૧ વાગ્યાનો લખેલો હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ૧૨:૪૫ વાગ્યે આપેલો નમૂનો ૧૧:૫૧ વાગ્યે કેવી રીતે આવ્યો ?
કોલેજના રિપોર્ટ-ખાનગી લેબના રિપોર્ટમાં જમીન-આકાશનો ફરક !
`વૉઈસ ઑફ ડે’ દ્વારા બી.એ.ડાંગર કોલેજ-હોસ્પિટલમાં લોહીનો રિપોર્ટ કરાવ્યાની ત્રણ કલાક બાદ ખાનગી લેબમાં રિપોર્ટ કરાવાયો હતો જેમાં જમીન-આકાશનો ફરક જણાયો છે જે અત્રે પ્રસ્તુત છે.
ડાંગર કોલેજ
પેટનું ઈન્ફેક્શન ૮.૩
પ્લેટલેટ ૩.૮૧ લાખ
હિમોગ્લોબિન ૧૬.૧
ખાનગી લેબ
પેટનું ઈન્ફેક્શન ૫.૩૪૦
પ્લેટલેટ ૨.૮૯ લાખ
હિમોગ્લોબીન ૧૪.૩
ઑગસ્ટ માસમાં કાગળ ઉપર દર્દીઓની કેટલી સારવાર કરાઈ-કેટલા ઓપરેશન થયા ?
આઈપીડી (દાખલ દર્દી)
જનરલ મેડિસીન ૧૨૧
ગાયનેકોલોજીસ્ટ ૬૬
સર્જરી ૫૨
પીડિયાટ્રિશ્યન ૧૨

ઓપીડી
એમ.ડી.ફિઝિશ્યન ૨૩૫૩
ગાયનેકોલોજીસ્ટ ૧૦૦૦
જનરલ સર્જન ૯૪૨
પીડિયાટ્રિશ્યન ૧૦૯
(નોંધ: પૂર્વ પ્રિન્સીપાલ-સિક્યુરિટી ગાર્ડના દાવા પ્રમાણે બે મહિનાથી દર્દી કે ડૉક્ટર આવતાં જ નથી તો આટલા બધા દર્દીઓ આવ્યા ક્યાંથી હશે ?)
નિયમ શું કહે છે ?
`વૉઈસ ઑફ ડે’ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં સૌથી પહેલાં દર્દીએ પોતાનું લોહી આપ્યું હતું આ સમયે ત્યાં કોઈ જ ડૉક્ટર હાજર રહ્યા ન્હોતા ત્યારે આ નિયમનો ભંગ જ ગણાય. આ ઉપરાંત હોમિયોપેથીની પ્રેક્ટિસ કરી રહેલી કોઈ વ્યક્તિ ઈન્જેક્શન ન મારી શકે ત્યારે અહીં તો એ પણ માર્યું જ હતું અને લોહી પણ લીધું હતું !!