સેક્રેટરી જનરલ તમે બધી નૈતિકતા ગુમાવી દીધી છે, રાજીનામું આપો
ઇઝરાયેલના પ્રતિનિધિ એ યુએનની સભામાં મહાસચિવ ગુટેરેસનું ઘોર અપમાન કર્યું
ઇઝરાયલ ગાઝા યુદ્ધ અંગે મંગળવારે મળેલા યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના ખુલ્લા ચર્ચા સત્રમાં યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગુટરેસે ગાઝા ઉપરના ઇઝરાયેલના હુમલાને આંતરરાષ્ટ્રીય કાનૂનોનો ભંગ ગણાવ્યા બાદ ઇઝરાયેલના પ્રતિનિધિએ ગુટેરેસ આ પદને લાયક ન હોવાનું જણાવી તેમનું રાજીનામું માંગી લેતા સનાટો પ્રસરી ગયો હતો. યુદ્ધ જેવા પ્રસંગોએ યુનાઇટેડ નેશનની નિર્ણાયક ક્ષમતા તેમજ કાર્યપ્રણાલી અંગે આ અગાઉ પણ અનેક વખત વક્તાઓએ ટીકા કરી છે પણ યુનાઇટેડ નેશનના મહાસચિવનું આ રીતે અપમાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
આ સત્રમાં ૯૦ દેશના વક્તાઓ અને વિદેશ મંત્રીઓએ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા હતા. અમેરિકા અને તેના સાથે દેશી તેમજ પશ્ચિમના દેશોએ હમાસના હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવી ઇઝરાયેલને સ્વરક્ષણનો અધિકાર હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. સાથે જ આ દેશોએ માનવતાવાદી સહાય માટેનો માર્ગ મોકલો કરવાની પણ અપીલ કરી હતી પરંતુ એક પણ દેશે યુદ્ધ વિરામનો ઉલ્લેખ નહોતો કર્યો. ચીન, રશિયા અને પેલેસ્ટાઈને ગાઝા ઉપરના ઇઝરાયેલના હુમલાને આંતરરાષ્ટ્રીય કાનૂનો ભંગ ગણાવી અને સત્વરે યુદ્ધ વિરામ કરવાની અપીલ કરી હતી. બીજી તરફ ઇઝરાયલે હમાસને ખતમ કરી નાખવાનો પોતાનો ઈરાદો ફરી એક વખત જાહેર કર્યો હતો અને યુદ્ધ વિરામની વાતને ફગાવી દીધી હતી.
શું કહ્યું યુએન સેક્રેટરી જનરલે?
યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ ગુટેરેસે ગાઝાના નાગરિકો પરના હુમલા તથા વીજળી, પાણી, ફ્યુઅલ અને ગેસનો પુરવઠો બંધ કરી દેવાના ઇઝરાયેલના પગલાને આંતરરાષ્ટ્રીય કાનૂનનો ભંગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલામાં યુએનના કર્મચારીઓ પણ માર્યા ગયા છે હોસ્પિટલો ઉપર પણ હુમલા થયા છે. ગાઝામાં માનવીય કટોકટી સર્જાઇ છે. તેમણે ઉમેર્યું કે ઇઝરાયેલ ઉપરના હમાસનો હુમલો નીંદનીય છે. તેને કોઈ સંજોગોમાં ઉચિત ન ઠેરવી શકાય.પણ સાથે જ કોઈ દેશ આંતરરાષ્ટ્રીય કાનૂન થી ઉપર નથી. બાદમાં તેમણે કહ્યું કે આ હુમલા માટેના કારણોને નજરઅંદાજ ન કરી શકાય. ગાઝાના લોકોએ ઇઝરાયલ ના વસાહતીઓ દ્વારા પોતાની જમીન હડપણથતી જોઈ છે. તેઓ હિંસાનો ભોગ બનતા રહ્યા છે. તેમનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે હજારો લોકો વિસ્થાપિત થયા છે. તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે. ગુટેરેસે એકંદરે ઇઝરાયેલના હુમલાની ખૂબ સંવેદનાભરી પણ સ્પષ્ટ શબ્દોમાં ટીકા કરીને અંતે યુદ્ધ વિરામની અપીલ કરી હતી.
શું કહ્યું ઇઝરાયેલ ના પ્રતિનિધિએ ?
ગુટેરેસે ઇઝરાયેલની ટીકા કર્યા બાદ યુએન ખાતેના ઇઝરાયેલ ના સ્થાયી પ્રતિનિધિ ગીલાદ એરદાને હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોની તસવીરો દેખાડી અને કહ્યું કે હમાસે બાળકો, યુવાનો, યુવતીઓ અને વૃદ્ધોની ક્રૂર હત્યા કરી છે, ગળા કાપ્યા છે, સળગાવી દીધા છે. આ હમાસ સાથે યુદ્ધ વિરામ કેવી રીતે થઈ શકે? તેમણે કહ્યું કે હમાસને ખતમ કરવું એ અમારી ફરજ છે અને અમે ચોક્કસપણે ખતમ કરી જ દેશું. બાદમાં ગુટેરેસ તરફ આંગળી ચિંધી અને તેમણે કહ્યું કે ,’ સેક્રેટરી જનરલ, તમે તમામ નૈતિકતા અને નિષ્પક્ષતા ગુમાવી દીધી છે. હમાસ નો હુમલો અકારણ ન હોવાનું જણાવી તમે આતંકવાદને ઉચિત ઠરાવી રહ્યા છો. તમારા નેતૃત્વ હેઠળનો યુએનનો આ સૌથી વધુ કાળો દિવસ છે. તેમણે ગુટેરેસને રાજીનામુ આપી દેવા અને ઇઝરાયેલ ની માફી માગવા જણાવ્યું હતું.
ઇઝરાયેલ ના વિદેશ મંત્રીએ બેઠક રદ કરી
મંગળવારે ઇઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેન અને સેક્રેટરી જનરલ ગુટેરેસ વચ્ચે બેઠક યોજાવાની હતી પરંતુ યુએનની સભામાં બનેલી આ ઘટના બાદ કોહેને તેમને મળવાનો ઇનકાર કરી દેતા બેઠક રદ થઈ હતી. કોહેને કહ્યું કે ઇઝરાયેલના યહૂદી નાગરિકો ઉપર અત્યાચાર કરનાર પ્રત્યે દયા દાખવનાર સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.
