ગમે તે કરો, તહેવારો પહેલાં રોગચાળો કાબૂમાં લાવો…!
ભેળસેળયુક્ત વાનગીઓ ન ધાબડી દેવાય તેનું ધ્યાન રાખવા ફૂડ શાખાને `એલર્ટ’ રહેવા આદેશ: દરેક વૉર્ડમાં ફોગિંગ કરી મચ્છરોનો સર્વનાશ કરવા સ્ટેન્ડિંગ ચેરમેન-આરોગ્ય ચેરમેનનો આદેશ
દિવાળીના તહેવાર આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે બરાબર ત્યારે જ રાજકોટમાં ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનો રોગચાળો ફૂંફાડો મારી રહ્યો હોય અત્યારે હોસ્પિટલો અને દવાખાનાઓ રીતસરના ઉભરાઈ રહ્યા છે. ચિંતાની વાત એ છે કે ડેંગ્યુને કારણે મૃત્યુ પણ થઈ રહ્યા છે તો ચિકનગુનિયાના કેસની સ્થિતિ પણ ડરામણી છે ત્યારે આટલી કપરી સ્થિતિ વધુ મોઢું ન ફાડે તે પહેલાં જ તેને કાબૂમાં લેવા માટે મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને આરોગ્ય કમિટી ચેરમેન કેતન પટેલે આરોગ્ય શાખાના અધિકારીઓની બેઠક બોલાવી ગમે તેમ કરીને તહેવારો પહેલાં રોગચાળો કાબૂમાં લાવવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ રોગચાળો આટલો વકરી શા માટે રહ્યો છે તેને લઈને પણ ૨૫ મિનિટ સુધી ચાલેલી બેઠકમાં મહત્ત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. જો કે આ આદેશોનું પાલન કેટલા અંશે થાય છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે. આ બેઠકમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જાહેર આરોગ્ય તેમજ લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે આરોગ્ય અધિકારી, તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓ, આરસીએચફો, બાયોલોજીસ્ટ, ડેઝીગ્નેટેડ ઑફિસર, સીપીસી સહિતના અધિકારીઓને હાજર રખાયા હતા.
અધિકારીઓને ખાસ તાકિદ કરાઈ હતી કે રોગચાળાની આંકડાકીય માહિતી જાહેર કરવી જરૂરી છે. આવી જ રીતે દિવાળીમાં મોટી સંખ્યામાં મિઠાઈ-ફરસાણનું વેચાણ થતું હોય તેવામાં ભેળસેળ ન થવા લાગે તે માટે રાબેતા મુજબ ફૂડ ચેકિંગ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ખાસ કરીને પાછલા દિવસોમાં રાજકોટમાંથી વાસી માવો, મલાઈ, ચનાચોર, ફરસાણ સહિતનો જથ્થો પકડાયો હોય આ પ્રકારનો જથ્થો સચવાઈને તહેવારો પર જ ન નીકળે તેનું ધ્યાન રાખવા પણ ટકોર કરવામાં આવી હતી.