આખરે ઢોરનો ત્રાસ મહાપાલિકાને દેખાયો, હવે સ્ટાફ તૂટી પડે એટલી જ વાર
પહેલીવાર ૪૦૦૦, બીજીવાર ૫૫૦૦ અને ત્રીજી વાર ઢોર પકડાય તો ઢોરમાલિકે ૭૦૦૦ ભરવા પડશે: જનરલ બોર્ડમાં દરખાસ્ત મંજૂર થાય એટલે અમલ શરૂ
ઢોરમાલિકને ત્રણ ગણો દંડ ફટકારવાની દરખાસ્તને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી: પહેલાં ૧૦૦૦ દંડ વસૂલાતો જે હવે ૩૦૦૦ થયો સાથે ૫૦૦ ખોરાકી તેમજ ૫૦૦ વહીવટી ચાર્જ વસૂલાશે: ઘરમાં રહેતાં પશુઓ માટે લાયસન્સ લેવું પડશે: ઢોરપકડ પાર્ટી સાથે પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે
રાજકોટમાં ઢોરનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે લોકો રસ્તા પરથી પસાર થાય એટલે સૌથી પહેલું ધ્યાન ક્યાંય ઢોર ઉભેલા છે કે નહીં તેના પર આપવા મજબૂર બની ગયા છે ! ઢોરપકડ પાર્ટી દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી કરાય ત્યારે ઘર્ષણ-માથાકૂટનો પાર રહેતો ન્હોતો જેના કારણે ઢોરની રંજાડ ઘટવાનું નામ લઈ રહી ન હોય તેની ઢીંકે અત્યાર સુધી ઘણા લોકોના મૃત્યુ થયા છે તો અનેક ઘાયલ થયા છે.
આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા દરેક મહાપાલિકાને ઢોર પકડાય એટલે તેના માલિકને ત્રણ ગણો દંડ ઉપરાંત ખોરાકી-વહીવટી ચાર્જ વસૂલવા માટે આદેશ આપ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ દરખાસ્ત આવતાં બીજા જ પ્રયાસે તેને મંજૂરી આપી દેવામાં આવી છે. હવેથી રાજકોટમાં ગાય-ભેંસ-બળદ-ઘોડો પકડાય એટલે તેના માલિકને ૪૦૦૦નો દંડ ફટકારાશે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી જયમીન ઠાકરે જણાવ્યું કે રાજકોટમાં ઢોરનો ત્રાસ વધી રહ્યો હોય શહેરીજનોની સુરક્ષાને જોખમમાં મુકી ન શકાય એટલા માટે આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી રહી છે.
આ દરખાસ્ત આગામી જનરલ બોર્ડમાં મુકવામાં આવશે અને ત્યાં મંજૂર થયા બાદ પહેલી વખત ઢોર પકડાય તો તેના માલિકને ૪૦૦૦, બીજી વખત પકડાય તો ૫૫૦૦ અને ત્રીજી વખત પકડાય તો ૭૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ રકમમાં પ્રતિ દિવસ ઢોર નીભાવણીનો ૫૦૦ રૂપિયા તેમજ વહીવટી ચાર્જ ૫૦૦ રૂપિયા પણ સામેલ કરાયો છે. આવી જ રીતે ઘરમાં ઢોર રાખ્યું હશે તો તેના માટે લાયસન્સ લેવું પડશે. સાથે સાથે ઢોરપકડ પાર્ટી સાથે સ્થાનિકો ઘર્ષણ પર ઉતરી રહ્યાના બનાવો બનતાં હોય હવેથી શહેરમાં ડીસીપી અને ગ્રામ્યમાં એસપી કક્ષાના અધિકારી દ્વારા પોલીસ બંદોબસ્ત ફરજિયાત આપવાનો રહેશે.
ઢોર પકડવા જનારો સ્ટાફ વાહન ઉપર કેમેરા લગાવશે
ઢોરપકડ પાર્ટીની કામગીરી કરતો સ્ટાફ હવે વાહન ઉપર આધુનિક કેમેરા લગાવીને જશે જેથી કરીને તેના સાથે માથાકૂટ સહિતનું ઘર્ષણ કરનાર વ્યક્તિને ઝડપથી ઓળખી શકાય તેમજ જો કોઈ વાહને તેનો પીછો કર્યો હોય સહિતની બાબતે વાહનના નંબરના આધારે તેના માલિક સામે કાર્યવાહી કરાશે.
જાહેરમાં ઘાસ વેચવા માટે લાયસન્સ લેવું પડશે
હવેથી રાજકોટના કોઈ પણ વિસ્તારમાં ઘાસના વેચાણ માટે લાયસન્સ અને પરવાનગી મેળવવાની રહેશે સાથે સાથે ઘાસ ક્યાંથી લાવ્યા, કોને વેચ્યું તે સહિતની બાબતે રજીસ્ટર રાખવું પડશે. આવી જ રીતે પશુ ઉપર ટેગ નહીં લગાડવામાં આવ્યું હોય તો તેને જપ્ત કરી લેવાશે.
સૌથી મોટો પ્રશ્ન, ઢોરમાલિકની ઓળખ કેવી રીતે કરાશે ?
મહાપાલિકા દ્વારા ઢોર પકડાય એટલે તેના માલિકને ત્રણ ગણો દંડ ફટકારવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ ઢોર પકડાય અથવા તો ઢોર કોઈને હડફેટે લ્યે તો તેના માલિકની ઓળખ કેવી રીતે કરવામાં આવશે. આ પ્રશ્ન એટલે મહત્ત્વનો બની જાય છે કેમ કે અત્યાર સુધી શહેરમાં ઢોરે અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે તો અનેકને ઘાયલ કરી નાખ્યા છે છતાં તેના માલિક ઓળખાયા હોય અને નામજોગ તેની સામે ગુનો નોંધાયો હોય તેવું બન્યું નથી.
૧૦૦૦ રૂપિયા ચૂકવી ગાયને એનિમલ હોસ્યેલમાં રાખી શકાશે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે મહાપાલિકા દ્વારા બનાવાયેલી એનિમલ હોસ્ટેલમાં ૧૦૦૦ રૂપિયા ભરીને ગાય, ૨૫૦૦ રૂપિયા ભરીને ભેંસ અને ૧૦૦૦ રૂપિયા ભરીને ઘેટા-બકરાં રાખી શકાશે. જો કે માલધારી સમાજની મુખ્ય માંગણી કાયમી એનિમલ હોસ્ટેલ માટેની જ છે જે વર્ષોથી પૂર્ણ થઈ રહી નથી.
અહીં કોની પાસેથી દંડ વસૂલાશે ?
આજે જ ક્લિક કરાયેલી તસવીરમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભોમેશ્વર રોડ પર ગાયોનું એક ટોળું મદમસ્ત બનીને જઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ ગાયનું ટોળું કોનું છે તે નક્કી કરીને દંડ કોની પાસેથી વસૂલાશે ? આ ત્રાસ દૈનિક થઈ ગયો હોવાની ફરિયાદ લતાવાસીઓ કરી રહ્યા છે સાથે સાથે એમ પણ કહી રહ્યા છે કે દરરોજ ૧૨:૩૦થી ૧૨:૪૫ વચ્ચે ગાયોનું ટોળું રસ્તા પર ઉતરી આવે છે ત્યારે હવે આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી થશે ?