વોંકળા પર ખડકાયેલા બાંધકામો ઉપર તૂટી પડશે મનપા
ગેરકાયદેસર થયેલા દબાણો હટાવાશે: સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો રોડ ટૂંક સમયમાં તોડી પડાશે: વોંકળા પર જેટલા બિલ્ડિંગ ઉભેલા છે તે તમામને સ્ટ્રક્ચરલ રિપોર્ટ માટે અપાશે નોટિસ: મ્યુનિ.કમિશનર એક્શનમાં
સર્વેશ્વર ચોકમાં ભરચક્ક લોકોની હાજરીમાં જ વોંકળા પરનો સ્લેબ તૂટી પડતાં ૩૦ લોકો નાલામાં ખાબક્યા હતા જેમાંથી એક વૃદ્ધાનું મોત નિપજવાની સાથે ૨૫ જેટલા લોકો ઘવાયા હતા. આ ઘટના બન્યા બાદ ભરનિદ્રામાંથી જાગેલી મહાપાલિકાએ તાત્કાલિક શિવમ કોમ્પલેક્સનો વપરાશ બંધ કરાવી દીધા બાદ હવે ત્યાં વોંકળા પરનો રોડ પણ જર્જરિત હોવાનો રિપોર્ટ આવતા તેને પણ તોડી નાખવાની કવાયત શરૂ કરી દીધી છે. બીજી બાજુ સર્વેશ્વર ચોક જ નહીં બલ્કે ટૂંક સમયમાં શહેરના ૧૪ વોંકળા ઉપર ગેરકાયદેસર રીતે ખડકાઈ ગયેલા બાંધકામો તોડવાનું શરૂ કરવામાં આવનાર હોવાનું મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
આ સાથે જ વોંકળા ઉપર જેટલા બાંધકામ મંજૂરીથી કરવામાં આવ્યા છે તે તમામ બિલ્ડિંગ સલામત છે તેવો રિપોર્ટ તાત્કાલિક મહાપાલિકાને આપવા માટે નોટિસ ફટકારવામાં આવશે. જ્યારે ગેરકાયદેસર ઉભેલા બાંધકામને કોઈની શેહ-શરમ રાખ્યા વગર તોડી પડાશે. જો કે આ કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
શિવમ કોમ્પલેક્સનો રિપોર્ટ યોગ્ય આવશે તો જ ખોલવા દેવાશે
મ્યુનિ.કમિશનરે ભારપૂર્વક જણાવ્યું કે સર્વેશ્વર ચોકમાં જ્યાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડ્યો તે શિવમ કોમ્પલેક્સનો સ્ટેબિલિટી રિપોર્ટ યોગ્ય આવશે તો જ કોમ્પલેક્સ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. હાલ આ બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવવામાં આવ્યો છે જે હજુ સુધી આવ્યો નથી. આ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરાશે.